અમદાવાદ : અમદાવાદના વ્યસ્ત કાલુપુર રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. લગભગ 2,400 કરોડના ખર્ચે તૈયાર થતું આ પ્રોજેક્ટ શહેરને વિશ્વ કક્ષાનું મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ આપશે. હાલમાં સ્ટેશનના સાઉથ બ્લોકના નીચલા ભાગનું લગભગ 58.2 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ઉપરના ભાગમાં લગભગ 24 ટકા કામ પ્રગતિમાં છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાલુપુર રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટના આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશન પર બે 16 માળના ટાવર બનાવવામાં આવી રહ્યા છે, જેને નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક તરીકે ઓળખવામાં આવશે. હાલ સાઉથ બ્લોકમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગના 7મા અને 8મા માળ પર બાંધકામ ચાલી રહ્યું છે, જ્યારે પાંચમા માળ સુધી સ્ટ્રક્ચરલ સ્ટીલ ફેબ્રિકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. નોર્થ બ્લોકનું બાંધકામ જૂન 2026માં શરૂ થવાનું આયોજન છે.
રીડેવલપમેન્ટ પછી કાલુપુર સ્ટેશનની ક્ષમતા પણ વધશે. બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે ત્રણ નવા રેલ્વે પ્લેટફોર્મ બનાવવામાં આવશે. આ ઉપરાંત આશરે 15 એકર વિસ્તારમાં કોન્કોર્સ પ્લાઝા અને 7 એકર વિસ્તારમાં મેઝેનાઈન પ્લાઝા વિકસાવવામાં આવી રહ્યા છે, જેમાં આધુનિક વેઇટિંગ રૂમ, સ્વચ્છ શૌચાલય, ફૂડ કોર્ટ, કોમર્શિયલ સ્પેસ અને વીઆઈપી બિઝનેસ સેન્ટર જેવી સુવિધાઓ મળશે.
આ નવું સ્ટેશન ગ્રીન સ્ટાન્ડર્ડ્સને અનુરૂપ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં ઉર્જા કાર્યક્ષમતા, પાણી સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. દિવ્યાંગ જનો માટે અનુકૂળ સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. મેટ્રો, રેલવે અને બુલેટ ટ્રેન સહિત અનેક પરિવહન સેવાઓને જોડતું આ સ્ટેશન ભવિષ્યમાં અમદાવાદ માટે મહત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટ હબ સાબિત થશે. ખાસ કરીને 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને સ્ટેશનનું આધુનિકીકરણ વધુ મહત્વનું બની ગયું છે.
ભારતીય રેલવે દેશભરના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો સાથે અમદાવાદ રેલવે સ્ટેશનના પરિવર્તનના પરિણામે નવી નોકરીઓનું સર્જન થશે તેમજ અર્થતંત્રમાં પણ વૃદ્ધિ થશે.


