અમદાવાદ : અમદાવાદના ટ્રાફિકની જીવાદોરી સમાન અને સાબરમતી નદી પરના મહત્વપૂર્ણ સુભાષ બ્રિજ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ એક મોટો નિર્ણય લેતા 236 કરોડ રૂપિયાના ખર્ચે તેના રીડેવલપમેન્ટ અને વિસ્તરણના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.હયાત સુભાષબ્રિજને રિપેરિંગ કરીને આગામી 9 મહિનામાં ટુ વ્હીલરો અને હળવા વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે. જાન્યુઆરી 2027 સુધીમાં સુભાષબ્રિજ વાહનચાલકો માટે શરૂ કરી દેવામાં આવશે.
સુભાષબ્રિજના રીડેવલપમેન્ટ અને નવા બે લેન સાથે નવો બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત રકમ રૂ. 232 કરોડ હતી જેમાં 1.5 ટકા વધીને રૂ. 236 કરોડના ખર્ચે મંજૂરી આપવામા આવી છે. સુભાષબ્રિજને રીડેવલપમેન્ટ કરવામાં આવનાર છે, જેમાં હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવું બનાવવામાં આવશે જે પિલ્લર છે અને સબ સ્ટ્રક્ચર છે તેને મજબૂત બનાવવામાં આવશે.
મળતી માહિતી મુજબ, હયાત સુભાષ બ્રિજને તોડી પાડી નવો બ્રિજ બનાવવાનું કામ બે ફેઝમાં પૂર્ણ થશે. ફેઝ-1ની કામગીરીમાં હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડી પાડી તેને સ્ટીલ સ્ટ્રક્ચરથી રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરાશે. ફેઝ 1માં હયાત સબ સ્ટ્રક્ચર અને ફાઉન્ડેશનને સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરી કરવામાં આવશે. કમ્પોઝિટ સ્ટીલ ગર્ડર ટાઇપનું સુપરસ્ટ્રક્ચર તૈયાર કરાશે.
જ્યારે ફેઝ-2માં હયાત બ્રિજની બંને બાજુના લેવલે 2-2 લેનના નવા બ્રિજ (આઇકોનિક સ્ટીલ સ્ટ્રક્ચર ફસાડ લાઇટિંગ સાથે)ના નિર્માણ કરવાની કામગીરી હાથ ધરાશે. આ માટે ટેન્ડરની રકમ રૂ. 236,00,00,000 (જી.એસ.ટી સિવાય) ઇ.પી.સી ટેન્ડર નક્કી કરાઈ છે, જ્યારે સંપૂર્ણ પ્રોજેક્ટ અંદાજે રૂ.316,39,57,043ના ખર્ચે પૂર્ણ થવાનો તથા સંપૂર્ણ કામ 24 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ લગાવાયો છે.
ફેઝ 1માં બ્રિજ બનાવવાની કામગીરી માટે 9 માસની સમયમર્યાદા તથા ફેઝ-2માં બંને બાજુ નવા 2+2 લેનના સેપરેટ સ્ટ્રક્ચરના બ્રિજ બનાવવાની કામગીરી સાથે કુલ 24 માસના સમયમાં કામગીરી પૂર્ણ કરવાનું AMCએ આયોજન કર્યું છે. ત્યારે 9 માસમાં ફેઝ 1નું કામ પૂર્ણ થતા સુભાષ બ્રિજ પર ફરી એકવાર રાબેતા મુજબ વાહનવ્યવહાર શરૂ થતા અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે.


