અમદાવાદ : શહેરના નવા વાડજ સ્થિત અક્ષર પ્રાથમિક શાળા ખાતે તારીખ 6/3/26 અને 7/3/26 (શુક્રવાર અને શનિવાર) ના રોજ બે દિવસીય ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાની નવતર કલ્પનાઓ અને મહેનત દ્વારા તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી માનવભાઈ જોશીએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા દર વર્ષે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને તેમની કલ્પનાશક્તિ એક નક્કર સર્જનનું સ્વરૂપ ધારણ કરે તેવો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “બાળકો માત્ર પુસ્તકિયું જ્ઞાન ન મેળવે, પરંતુ વ્યવહારિક પ્રયોગો દ્વારા શીખે તે આજના સમયની માંગ છે.”
બે દિવસીય સાયન્સ ફેર આકર્ષણના કેન્દ્રો બનેલા પ્રોજેક્ટ્સ, આ સાયન્સ ફેરમાં બાળકોએ પર્યાવરણ, ટેકનોલોજી અને વિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત અનેક પ્રોજેક્ટ્સ જાતે તૈયાર કર્યા હતા. જેમાં ખાસ કરીને નીચેના પ્રયોગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા:

વેસ્ટ મેનેજમેન્ટ: નકામી બોટલમાંથી બનાવેલી બોટનું ભ્રમણ.
જળ સંરક્ષણ: ઘરમાંથી નીકળતા શુદ્ધ અને અશુદ્ધ પાણીના પુનઃઉપયોગની સચોટ માહિતી આપતો પ્રોજેક્ટ.
પર્યાવરણ સુરક્ષા: પ્રદૂષિત ધુમાડાને શુદ્ધ કરી પરિવર્તિત કરતો નવતર પ્રયોગ.
જીવવિજ્ઞાન: માનવ હૃદયની ધમનીઓમાં રક્તનું પરિભ્રમણ દર્શાવતો લાઈવ પ્રોજેક્ટ.
બે દિવસીય સાયન્સ ફેરની મુલાકાતે આવેલા જાગૃત વાલીઓ, સગા-સંબંધીઓ અને અન્ય આમંત્રિતોએ બાળકોની મહેનત અને મૌલિક વિચારોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ પ્રોજેક્ટ્સ જોઈને ઉપસ્થિત મહેમાનોએ બાળ વૈજ્ઞાનિકોની કૌશલ્ય શક્તિને બિરદાવી હતી.
બાળકોમાં રહેલી આ સુષુપ્ત શક્તિઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને જ એક આધુનિક અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઈ શકે છે, તેવો સૂર આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતા શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.


