અમદાવાદ : અમદાવાદની ગરમીમાં બસની રાહ જોતા મુસાફરો માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પર્યાવરણને જાળવવા અને મુસાફરોને કુદરતી ઠંડક આપવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. AMTS ટ્રાન્સપોર્ટ કમિટીએ હવે ‘ટ્રી બસ સ્ટેશન’ બનાવવાની મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત હયાત વૃક્ષોને કાપવાને બદલે તેની આસપાસ જ આધુનિક બસ સ્ટોપ તૈયાર કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા શહેરમાં નવી પહેલરૂપે ટ્રી બસ સ્ટેશન બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ યોજના માટે AMTS દ્વારા ઝાડની આસપાસ ખાસ ડિઝાઇન સાથે બસ સ્ટેશન વિકસાવવામાં આવશે.શહેરના ચાંદખેડા વિસ્તારમાં અમદાવાદનું પ્રથમ ‘ટ્રી બસ સ્ટોપ’ આકાર લેવા જઈ રહ્યું છે. AMTS કમિટીના નિર્ણય મુજબ, આ બસ સ્ટોપ કોઈ સામાન્ય કોંક્રિટનું માળખું નહીં હોય, પરંતુ રસ્તા પર આવેલા ઘટાદાર વૃક્ષની આસપાસ જ તેને ડિઝાઇન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 5.72 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. વૃક્ષના છાંયડામાં બેસીને મુસાફરો બસની રાહ જોઈ શકશે.
અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી જાણીતી છે, ત્યારે આ ટ્રી બસ સ્ટેશનમાં મુસાફરોને વિશેષ રાહત આપવા માટે ‘મિસ્ટ સ્પ્રિંકલર’ લગાવવામાં આવશે. આ સ્પ્રિંકલરમાંથી ઉડતી પાણીની બારીક બુંદો વાતાવરણમાં ઠંડક પ્રસરાવશે, જેનાથી બસની રાહ જોતા લોકોએ પરસેવે રેબઝેબ નહીં થવું પડે. આ ઉપરાંત સ્ટેશન પર આરામદાયક ચેર અને બાંકડાની વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેથી વૃદ્ધો અને દિવ્યાંગોને પણ સરળતા રહે.
AMCની ટ્રાન્સપોર્ટ કમિટીમાં પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટ છે. અત્યારે દરેક ઝોનમાં શરૂઆતમાં 2-2 સ્ટેશન પર આ રીતે કામ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિકાસના નામે રસ્તા પરના હયાત ઝાડ કાપવા ન પડે અને કુદરતી છાંયડાનો મહત્તમ ઉપયોગ કરી શકાય. જો આ પ્રયોગ સફળ રહેશે, તો આગામી સમયમાં સમગ્ર શહેરમાં આવા ‘ટ્રી બસ સ્ટોપ્સ’ જોવા મળી શકે છે.


