અમદાવાદ : ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લાખો નાગરિકો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો રેલ સેવાને વધુ સુદૃઢ અને ઝડપી બનાવવા માટે કુલ 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી 10 ટ્રેન અમદાવાદ મેટ્રો ફેઝ-2 માટે અને 24 ટ્રેન સુરત મેટ્રો માટે ફાળવવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મેટ્રો ફેઝ-2 હેઠળ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે 68.2 કિ.મી.નું નેટવર્ક કાર્યરત છે, જેમાં હાલ 32 ટ્રેનસેટ્સ દ્વારા સેવા આપવામાં આવે છે. હવે નવા 10 ટ્રેનસેટ્સ ઉમેરાવાથી ટ્રેનોની અવરજવરની ફ્રિકવન્સીમાં વધારો થશે. આ નવી ટ્રેનો આવવાથી મુસાફરોને ટ્રેન માટે લાંબો સમય રાહ નહીં જોવી પડે અને તેમની મુસાફરી વધુ આરામદાયક બનશે. આ પગલું રાજ્યના શહેરી પરિવહન માળખાને એક નવી ઊંચાઈ પર લઈ જશે.પરિણામે મુસાફરોએ સ્ટેશન પર ટ્રેન માટે રાહ જોવાનો સમય ઘટશે અને પરિવહન ક્ષમતા મજબૂત બનશે.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે રાજ્યમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું, અને તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ ફેઝ-1 અને ફેઝ-2 સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે, અને અમદાવાદ-ગાંધીનગરના લાખો નાગરિકો મેટ્રો ટ્રેનનો લાભ મેળવી રહ્યા છે.


