અમદાવાદ : શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો હતો. પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર મામલે બાપુનગર પોલીસે છરી મારનાર સગીર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, ફરિયાદી સગીર બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં રહે છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે. ફરિયાદી અને હુમલો કરનાર બંને બાપુનગર સ્થિત ‘કોમર્સ એક્સપર્ટ ટ્યુશન ક્લાસીસ’માં સાથે અભ્યાસ કરે છે. ટ્યુશનમાં રૂમમાં જગ્યા ન હોવાથી હુમલો કરનાર સગીરને બીજા રૂમમાં બેસવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો.
બંને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી, ત્યારે બપોરના સમયે જ્યારે સગીર હીરાવાડી વિસ્તારમાં તુલસી ફ્લેટ નજીક આવેલા ભોમિયા ડેરી પાસે ઉભો હતો ત્યારે તેનો સાથી વિદ્યાર્થી મિત્ર આવ્યો હતો અને ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા ન હોવાથી બીજા રૂમમાં કહેવા બાબતે થયેલી બોલા ચાલીને લઈને તેના પાસે રહેલો છરો કાઢ્યો હતો અને પેટના ડાબા ભાગે એક ઘા મારી દીધો હતો.
હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ભોગ બનનારનો મિત્ર તેને રિક્ષામાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.બાપુનગર પોલીસે આ મામલે પોલીસ ફરિયાદના આધારે આરોપી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 118(1) અને 296(b) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા આ લોહિયાળ હુમલાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.


