અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગત મોડી રાતે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નકલી નોટો સાથે કેટલાક લોકો ગાડીમાં અમરાઇવાડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા છે. બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. અમરાઇવાડી વિસ્તારમાંથી એક ફોર્ચ્યુનર કાર પસાર થઇ રહી હતી, ત્યારે તેને રોકીને તપાસ કરતાં કારમાં એક મહિલા સહિત છ લોકો સવાર હતા. આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી 2 કરોડની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે છ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. આ તમામ નોટો 500ના દરની છે. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન લખેલી ગાડીમાં આ નોટોની હેરાફેરી થતી હતી. નોટોની હેરાફેરી માટે આયુશ મંત્રાલય લખેલી કારનો ઉપયોગ કરાતો હતો. આ સાથે ગાડી પર “ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા” પણ લખેલું જોવા મળે છે.
કારમાં તપાસ કરતાં રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેની ગણતરી કરતાં આશરે 2 કરોડ અને 10 લાખની નકલી ચલણી નોટો મળી આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ચલણી નોટોના તાર સુરત સુધી લંબાયેલા છે. એટલે કે સુરતમાં નકલી નોટો છાપીને તેને અમદાવાદ ખાતે લાવવામાં આવી રહી હતી.
સુરતમાં પણ આ અંગે તપાસ કરવામાં આવી હતી. વરાછામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી એક પ્રિન્ટર મશીન મળી આવ્યું હતું. સુરતમાંથી 80 લાખની નકલી નોટો પણ કબ્જે કરાઈ છે. ધરપકડ કરાયેલા લોકોમાં સદગુરુ પ્રદીપજીનો પણ સામેલ છે. જે નકલી નોટો છાપવાનું રેકેટ ચલાવતો હતો. આ માટે સુરતમાં એક બંગલો ભાડે રાખવામાં આવ્યો હતો. જ્યાં નોટો છાપ્યા બાદ તેને સુરત ખાતેના આશ્રમ લઈ જવામાં આવતી હતી.
પોલીસ તપાસ મુજબ, આ આરોપી ચીનથી હાઈ ક્વૉલિટી પેપર લાવીને નકલી ચલણી નોટો બનાવતા. આ તમામ નોટોનો ઉપયોગ તેઓ જમીન સોદામાં વટાવતા. આ માટે તેઓ આંગડિયાનો પણ ઉપયોગ કરતા. આ પહેલા પણ આરોપીઓ અમદાવાદમાં ત્રણથી ચાર નાણાકીય વ્યવહાર કરી ચૂક્યા છે, જે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. આ નોટો ત્યાં સુધી નથી પકડી શકાતી, જ્યાં સુધી બેંકના ટેબલ પર તેનું સ્કેનિંગ ના થાય.
પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગત મુજબ, આ પ્રકરણમાં ઝડપાયેલો પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટમાં રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. જે બાદ થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ શરૂ કર્યો હતો.


