અમદાવાદ : અમદાવાદીઓને ઉનાળામાં ગરમીના ધોમ ધખતાં તાપમાં વાહનચાલકોને એમાંય ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને રાહત આપતો નિર્ણય AMC દ્વારા લેવામાં આવ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત એવા 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લગાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે.આ નેટ લગાવવાથી વાહન ચાલકોને બપોરના સમયે ઓછી ગરમી લાગશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)દ્વારા શહેરના સૌથી વધારે ટ્રાફિક અને બપોરના સમયે ચાલુ રાખવા પડે એવા ટ્રાફિક સિગ્નલો ઉપર ટુ વ્હીલર ચાલકો માટે નેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.ક્રેડાઈ અને અન્ય સંસ્થાના સહયોગથી આ નેટ લગાવવામાં આવી છે. લાલદરવાજા વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા પાસે પ્રાથમિક ધોરણે અત્યારે નેટ લગાવવામાં આવી છે. 24 ટ્રાફિક સિગ્નલો પરના મુખ્ય ચાર રસ્તાઓ ઉપર નેટ લગાવવાથી વાહન ચાલકોને બપોરના સમયે ઓછી ગરમી લાગશે.
ટુ વ્હીલર ચાલકોને ગરમીના સમયમાં ચાર રસ્તા ઉપર વધારે સમય ઊભું રહેવું પડે છે જેને લઈને ગરમીની આડઅસર થવાની શક્યતાઓ છે. સૌથી વધારે ટ્રાફિક જે ચાર રસ્તા ઉપર આવેલા છે તેમને આઇડેન્ટીફાય કરીને આવા ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી રહી છે. ક્રેડાઈ અને અન્ય સંસ્થાઓના સહયોગથી લગાવવામાં આવી રહી છે.10થી 12 જેટલા ટ્રાફિક જંકશનનો ઉપર હજી નેટ લગાવવામાં આવશે.
શહેરમાં 291 જેટલા ટ્રાફિક સિગ્નલો આવેલા છે જેમાંથી 78 જેટલા ટ્રાફિક સિગ્નલો જ્યાં ઓછો ટ્રાફિક હોવાના પગલે તેને બપોરે 12થી 4 વાગ્યા સુધી બ્લીન્કીંગ મોડ ઉપર રાખવામાં આવ્યા છે. જેથી ત્યાં વાહન ચાલકોને ગરમીનો સામનો નહીં કરવો પડે, પરંતુ જે ટ્રાફિક જંકશન ચાલુ છે ત્યાં ગરમી વાહન ચાલકોને ઓછી લાગે ત્યાં નેટ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


