અમદાવાદ : ગલ્ફના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર દેખાઈ રહી છે. અનેક ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તો બીજી તરફ પેટ્રોલ-એલપીજીની અછતના અહેવાલો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આવ વર્ષે ફી નહિ વધારવાનો નિર્ણય લઈને મધ્યમ વર્ગને રાહત આપી હતી.એસોસિએશને સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આગામી નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન કે રિક્ષાના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં, જેનાથી વાલીઓના ઘરના બજેટ પર વધારાનો બોજ નહીં પડે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની તાજેતરમાં મળેલી મહત્વની બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે, છેલ્લે વર્ષ 2024-25માં જે ભાડા વધારો કરવામાં આવ્યો હતો, તે જ અત્યારે અમલી રહેશે. આ નિર્ણય માત્ર એક વર્ષ પૂરતો જ નથી, પરંતુ એસોસિએશને જૂન 2027 સુધી સ્કૂલ વર્ધીના ભાવ સ્થિર રાખવાની ખાતરી આપી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ઇંધણના ભાવમાં અનિશ્ચિતતા હોવા છતાં, વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને આ રાહત આપવામાં આવી છે.
એસોસિએશન દ્વારા નક્કી કરાયેલા નવા માળખા મુજબ, 1 કિલોમીટરના અંતર માટે રિક્ષાનું ભાડું 750 રૂપિયા અને વાન માટે 1200 રૂપિયા રહેશે. જો અંતર 2 કિલોમીટર હોય તો રિક્ષા માટે 850 રૂપિયા અને વાન માટે 1400 રૂપિયા વસૂલવામાં આવશે. તેવી જ રીતે, 3 કિલોમીટરના અંતર માટે રિક્ષા ભાડું 950 રૂપિયા અને વાનનું ભાડું 1600 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. વધુ અંતર ધરાવતા વાલીઓ માટે, 4 કિલોમીટરના અંતર માટે રિક્ષાનું ભાડું 1050 રૂપિયા અને વાન માટે 1800 રૂપિયા રહેશે. જ્યારે 5 કિલોમીટર કે તેથી વધુ અંતર માટે રિક્ષા ચાલકો 1150 રૂપિયા અને વાન ચાલકો 2000 રૂપિયા ભાડું વસૂલી શકશે. આ નક્કી કરેલા દરોથી વાલીઓ અને વર્ધી ચાલકો વચ્ચે ભાવતાલને લઈને થતી અસમંજસ દૂર થશે.
શિક્ષણના સતત વધતા ખર્ચ અને સ્કૂલ ફીમાં થતા વધારા વચ્ચે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ન વધે તે વાલીઓ માટે મોટું આશ્વાસન છે. વર્ષ 2024-25માં છેલ્લે થયેલા વધારા બાદ હવે લાંબા ગાળા સુધી ભાવ સ્થિર રાખવાનો આ નિર્ણય ખૂબ જ પ્રશંસનીય છે. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી આ માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે.
ભાડામાં વધારો ન કરવાની સાથે સાથે એસોસિએશને તમામ સ્કૂલ વર્ધી ચાલકોને કડક સૂચના આપી છે કે તેઓએ બાળકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવી નહીં. વાહનોનું નિયમિત મેન્ટેનન્સ કરાવવું અને ક્ષમતા કરતા વધુ બાળકોને ન બેસાડવા તે બાબતે પણ ભાર મૂકવામાં આવ્યો છે. અમદાવાદના હજારો વાન અને રિક્ષા ચાલકોએ આ નિર્ણયને હર્ષભેર સ્વીકાર્યો છે, જેથી વાલીઓ અને ચાલકો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહેશે.


