અમદાવાદ : કહેવાય છે કે ‘સેવા પરમો ધર્મ’, અને આ વાક્યને અમદાવાદની સિવિલ હોસ્પિટલે સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં એક એવો ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો છે, જેની ગુંજ સમગ્ર દેશમાં સંભળાઈ રહી છે. છેલ્લા 5 વર્ષ અને 87 દિવસમાં હોસ્પિટલે કુલ 1000 અંગો અને પેશીઓનું દાન મેળવીને સેવાનો નવો કીર્તિમાન સ્થાપ્યો છે.આ ઐતિહાસિક માઇલસ્ટોન દર્શાવે છે કે જો તબીબોનું સમર્પણ અને સમાજની સંવેદના મળે, તો મૃત્યુ બાદ પણ કોઈના જીવનમાં ઉજાસ પાથરી શકાય છે.
ઐતિહાસિક સિદ્ધિ
આ ઐતિહાસિક સિદ્ધિ સંખેડાના 60 વર્ષીય રમેશભાઈ બાબુભાઈ તડવીના અંગદાન સાથે પૂર્ણ થઈ છે. એક માર્ગ અકસ્માત બાદ રમેશભાઈને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. શોકની આ આકરી પળોમાં પણ તેમના પત્ની નાથીબેન અને પરિવારજનોએ હિંમત દાખવી અંગદાનનો નિર્ણય લીધો. રમેશભાઈના અંગદાનથી એક લીવર, બે કિડની અને બે આંખો પ્રાપ્ત થઈ છે, જે પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન અને રોશની આપશે.
5 વર્ષની અવિરત સેવા અને રાષ્ટ્રીય સન્માન
27 ડિસેમ્બર 2020થી શરૂ થયેલા આ સેવા યજ્ઞમાં અત્યાર સુધીમાં કુલ 767 અંગો અને 233 પેશીઓનું દાન મળ્યું છે. આ ભગીરથ કાર્યને કારણે 745થી વધુ ગંભીર દર્દીઓના જીવ બચાવી શકાયા છે. સિવિલ હોસ્પિટલની આ શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર સરકારની સંસ્થા NOTTO અને ROTTO દ્વારા હોસ્પિટલને ‘બેસ્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર’ અને ‘બેસ્ટ બ્રેઇન ડેડ કમિટી’ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી છે.
આંકડાકીય સિદ્ધિઓ પર એક નજર
સિવિલ હોસ્પિટલે સ્થાપેલા કીર્તિમાનમાં અનેક રેકોર્ડનો સમાવેશ થાય છે:
કુલ દાન: 427 કિડની, 206 લીવર, 192 આંખો, 73 હૃદય, 41 સ્કીન, 34 ફેફસાં, 19 સ્વાદુપિંડ, 6 હાથ અને 2 આંતરડા.
વયજૂથ: 41 થી 60 વર્ષના 90 દાતાઓ અને 13 થી 25 વર્ષના 44 યુવાનોએ અંગદાન કર્યું છે.
વ્યાપ: અંગદાતાઓમાં ગુજરાતના 203 લોકો ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને નેપાળ જેવા પાડોશી દેશના નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
વિશેષ રેકોર્ડ: ગુજરાતનું પ્રથમ હાથનું દાન અને પ્રથમ આંતરડાનું દાન પણ આ જ હોસ્પિટલમાં સફળતાપૂર્વક થયું છે.
સંવેદના અને જાગૃતિનો વિજય
તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, આ સફળતા પાછળ ટીમવર્ક અને પારદર્શકતા મુખ્ય છે. જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવ્યાના દુઃખમાં હોય ત્યારે તેમને અંગદાન માટે તૈયાર કરવા એ સૌથી મોટું પડકારજનક કાર્ય છે. પરંતુ વધતી જતી સામાજિક જાગૃતિને કારણે આજે લોકો ‘અંગદાન એ જ મહાદાન’ સૂત્રને અપનાવી રહ્યા છે. જો ભવિષ્યમાં આ સંવેદના હજુ વધશે, તો અંગોની અછતને કારણે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવવો નહીં પડે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ 1000 અંગદાનની સિદ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ હજારો પરિવારોના ચહેરા પર આવેલી સ્મિતની ગાથા છે.


