અમદાવાદ : અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 42 વર્ષીય યુવકે ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આપઘાત પહેલા લખાયેલી સુસાઇડ નોટમાં પત્ની પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને આધારે રાણીપ પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગોતા વિસ્તારમાં રહેતા દેવશીભાઈ દેસાઈએ પોતાના ભાઈ દશરથ દેસાઈના મોત અંગે ફરિયાદ નોંધાવી છે. દશરથના લગ્ન અંદાજે 15 વર્ષ પહેલા ભગવતી સાથે થયા હતા અને તેમને એક દીકરો અને એક દીકરી પણ છે. પરિવાર રાણીપના સુંદરવન સોસાયટીમાં રહેતો હતો. ફરિયાદ મુજબ, દશરથએ પોતાની પત્નીના અનેક પુરુષો સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીના ફોનની કોલ ડીટેલ્સ કાઢતા ઘણા લોકો સાથે સંપર્ક હોવાનું સામે આવ્યું હોવાનું પણ આક્ષેપ છે. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા પત્ની પોતાના પિયરમાં જતી રહી હતી.
ત્યાર પછી પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરાવાયું હતું અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ફરી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ 21 માર્ચે પત્નીના ભાઈઓ ઘરે આવી દશરથ પર ખોટા આરોપ લગાવી તેને ધમકાવ્યા અને પોતાની બહેનને ફરી સાથે લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાના બાદ દશરથ માનસિક તણાવમાં આવી ગયો હતો. 22 માર્ચે સવારે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પોલીસે સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી છે જેમાં પત્ની સામે ગંભીર આક્ષેપો સાથે બાળકો પ્રત્યે લાગણીસભર શબ્દો લખાયેલા છે સાથે જ આર્થિક નુકસાન અને ઘરેલુ તણાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મૃતકે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘હું આત્મહત્યા કરું છું કારણ કે મારી પત્નીના અનેક લોકો સાથે આડા સંબંધો હતા. મેં ઘણું સમજાવ્યું અને સમાધાન પણ કર્યું, છતાં તેમાં કોઈ સુધારો આવ્યો નહીં.’ મહત્ત્વનું છે કે, પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, સ્યૂસાઈડ નોટમાં મૃતકની પત્નીના અન્ય પુરુષો સાથેના સંપર્ક અને મોબાઈલ નંબરની વિગતો પણ આપવામાં આવી છે. વધુમાં, પત્નીએ સગા-સંબંધીઓના દાગીના ગીરવે મૂકી દીધા હોવાનું પણ સામે આવ્યું છે. દશરથભાઈએ પત્નીને સજા અપાવવાની વિનંતી કરી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.


