અમદાવાદ : શહેરમાં વ્યસન મુક્તિને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ સામે આવી છે. શહેરના ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા પાન-મસાલા અને તમાકુના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.આ પહેલનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે અને ફરજ દરમિયાન વ્યસનથી દૂર રહેવાની સંસ્કૃતિ વિકસાવવાની છે.
ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. સાવલિયાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં પાન, મસાલા અને તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પીઆઇએ પોલીસ સ્ટેશનમાં તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ અંગેના બોર્ડ લગાવડાવ્યા છે અને જો કોઈપણ પોલીસ કર્મચારી પાન-મસાલા ખાતા મળી આવશે તો દંડ કરવામાં આવશે. પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને અત્યાર સુધી નિયમ મુજબ દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
પોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વારથી લઈને પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ જગ્યાઓ ઉપર આવા બોર્ડ મારી વામાં આવ્યા છે. બેથી ત્રણ ઓફિસની બહાર આ જ પ્રમાણે બોર્ડ મારવામાં આવ્યા છે, જેથી જે પણ પોલીસ કર્મચારી ઓફિસમાં ફરજ બજાવતો હોય તેના ધ્યાન ઉપર આવે કે પોલીસ સ્ટેશનમાં પાન મસાલા કે તમાકુ ખાઈ શકશે નહીં.
આ પહેલ એક સંદેશ પણ આપે છે કે કાયદાનું પાલન કરાવનારોએ પોતે પણ શિસ્ત અને સ્વસ્થતા જાળવવી જોઈએ. ખોખરા પોલીસ સ્ટેશનનો આ પ્રયાસ શહેરના અન્ય પોલીસ સ્ટેશનો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. આ રીતે, અમદાવાદ પોલીસ દ્વારા લેવામાં આવેલી આ અનોખી પહેલ વ્યસન મુક્ત સમાજ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.


