અમદાવાદ : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC જનરલ હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતી ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પીરસવામાં આવેલા રાત્રિ ભોજનમાંથી જીવાત અને ઈયળો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા સીધી કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવીયાને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાપુનગરની આ સરકારી હોસ્પિટલમાં અંદાજે 200 જેટલા દર્દીઓ ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ છે. દરરોજની જેમ રાત્રે દર્દીઓને ખીચડી, પાલકની ભાજી અને રોટલી પીરસવામાં આવી હતી. જોકે, જ્યારે ગોમતીપુરના બાબુભાઈ પરમાર અને નિકોલના વિજયાબેન દવે જેવા દર્દીઓ જમવા બેઠા, ત્યારે તેમની ખીચડીમાં જીવાત (ઇયળો) તરતી જોવા મળી હતી. પરંતુ પીરસવામાં આવેલી ખીચડીમાં જીવાત (ઇયળો) જોવા મળતા દર્દીઓમાં ભય અને આક્રોશ ફેલાયો હતો.અને હોસ્પિટલમાં જમવાનો બહિષ્કાર કરી હોબાળો મચાવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખ હોસ્પિટલ પહોંચ્યા હતા અને CMO ને મૌખિક રજૂઆત કરી હતી. તેમની કડક સૂચના બાદ હોસ્પિટલના કિચનમાં ઉતાવળે સફાઈ કરીને દર્દીઓ માટે ફરીથી નવું ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. આક્ષેપ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલના કિચન અને સ્ટોરની જવાબદારી સંભાળતા અધિકારી કૈલાશ મીણા એક સિનિયર ઓફિસરના સગા હોવાથી, વારંવારની ગંભીર બેદરકારી છતાં તેમની સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી.


