અમદાવાદ : જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં પનીરનું શાક ખાવાના શોખીન છો, તો તમારા માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતી પનીરની વાનગીઓમાં અસલી દૂધનું પનીર વપરાય છે કે વનસ્પતિ તેલમાંથી બનેલું ‘એનાલોગ પનીર’, તે અંગે હવે ગ્રાહકોને અંધારામાં રાખી શકાશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ વિભાગે શહેરના ૧૫,૦૦૦ થી વધુ ફૂડ એકમોને ઈ-મેલ દ્વારા કડક સૂચના આપીને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
હવેથી દરેક ફૂડ એકમે એ સ્પષ્ટ કરવું પડશે કે તેઓ જે પનીર વાપરી રહ્યા છે તે શુદ્ધ ‘મિલ્ક પનીર’ છે કે પછી વનસ્પતિ તેલમાંથી બનેલું ‘એનાલોગ પનીર’ તેમજ મેનૂ કાર્ડમાં અથવા ડિસ્પ્લે બોર્ડ પર ગ્રાહકોને દેખાય તે રીતે આ માહિતી ફરજિયાત દર્શાવવી પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એએમસીમાં રજીસ્ટર 15000 કરતાં વધુ હોટલ સંચાલકો, રેસ્ટોરન્ટ માલિકો અને ફૂડ સર્વિસ પ્રોવાઈડરોને ઈ-મેલ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. હવેથી દરેક ફૂડ એકમેએ સ્પષ્ટ કરવું પડશે કે તેઓ જે પનીર વાપરી રહ્યા છે તે શુદ્ધ ‘મિલ્ક પનીર’ છે કે પછી વનસ્પતિ તેલમાંથી બનેલું ‘એનાલોગ પનીર’.નિયમ મુજબ, હવે દરેક ખાદ્ય એકમોએ પોતાના મેનૂ કાર્ડમાં અથવા ડિસ્પ્લે બોર્ડ પર ગ્રાહકોને દેખાય તે રીતે આ માહિતી ફરજિયાત દર્શાવવી પડશે.
આરોગ્ય વિભાગે મેનૂ કાર્ડમાં પણ આ માહિતી ફરજિયાત દર્શાવવા આદેશ કર્યો છે. જો કોઈ પણ ફૂડ એકમ આ સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળ જશે અથવા ગ્રાહકોને ખોટી માહિતી આપતા ઝડપાશે, તો આગામી દિવસોમાં AMC દ્વારા દંડ અને સીલિંગ સહિતની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના હિતમાં લેવાયેલો આ નિર્ણય શહેરની ફૂડ સેફ્ટીમાં મોટો બદલાવ લાવશે.


