અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ એક્ટિવ બની ગયું છે. જેમાં કોંગ્રેસે ભાજપ પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ પૈકી કેટલાક વોર્ડ અંગેના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતાની સાથે જ અમદાવાદના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને પાલડીના વોર્ડ નં. 30 વિસ્તારમાં લઘુમતી ઉમેદવારને સ્થાન આપવા મામલે વિવાદ છેડાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું કે, ‘વાહ રે કોંગ્રેસ વાહ, પાલડી વિસ્તારમાં લઘુમતી ઉમેદવાર, અશાંતધારાનો કડક અમલ થશે અને ડંકાની ચોંટે થશે.’પાલડીમાં વધતા લઘુમતી પ્રભુત્વને લઈને અગાઉ પણ સવાલો ઉઠ્યા છે, ત્યારે ધારાસભ્યની આ પોસ્ટથી આગામી ચૂંટણી પૂર્વે નવા રાજકીય સમીકરણો રચાય તેવા સંકેતો મળી રહ્યા છે.
જોકે કોંગ્રેસે જાહેર થયેલા ઉમેદવારોની પેનલમાં પાલડી વોર્ડ નં.30 પાલડી માટે કોંગ્રેસે ફાહેજાબાનુ મો. ફારુક શેખ, સીમાબેન સોલંકી, અર્જુન પ્રહલાદભાઈ નાયક અને રાગીનકુમાર રમેશભાઈ બેંકર મેન્ડેડ આપ્યું છે. હવે જ્યારે કોંગ્રેસે લઘુમતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે ધારાસભ્ય અમિત શાહે અશાંતધારાના કડક અમલની વાત પર ભાર મૂકીને રાજકીય મોરચે લડત આપવાના સંકેત આપ્યા છે. ત્યારે હવે મતદારો કોને સમર્થન આપે છે, તે જોવું રહ્યું.


