અમદાવાદ :અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરુના કારણે બે બાળકીના મોત થયા હતા. FSLની હાજરીમાં અઢી માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. હવે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.પરિવારે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી. બંને બાળકીના શકાસ્પદ મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડામાં ઢોસાના ખીરુના કારણે અઢી મહિનાની બાળકીના મોત બાદ પરિવારજનોએ અંતિમવિધિ કરી દીધી હતી. પરંતુ કેસમાં શંકાસ્પદ પરિસ્થિતિઓ સામે આવતા હવે પોલીસ દ્વારા મૃતદેહને ફરી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન Forensic Science Laboratory (FSL)ની ટીમ પણ હાજર રહેશે, જેથી તપાસને વૈજ્ઞાનિક આધાર મળી શકે. આ પ્રક્રિયા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્મશાનગૃહ ખાતે હાથ ધરાશે, જેથી કોઈ અનિચ્છનીય સ્થિતિ ન સર્જાય.
પ્રાથમિક માહિતી મુજબ, પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટે તૈયાર ખીરું લાવ્યું હતું. તેમાંથી બનાવેલા ખોરાકનું સેવન કર્યા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી ગઈ હતી. આ ઘટનામાં બે બાળકી એક લગભગ 3 મહિનાની અને બીજી 4 વર્ષની બાળકીના કરુણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઘટના બાદ સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બજારમાં મળતા તૈયાર ખોરાકની ગુણવત્તા અને તેની નિયમિત તપાસ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે, જવાબદાર વિભાગો દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી. સાથે જ, ઘટનાના સમયે તંત્ર ચૂંટણી સંબંધિત કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે કાર્યવાહી મોડે શરૂ થઈ હોવાનો પણ મુદ્દો ચર્ચામાં છે.
પોલીસ દ્વારા ખોરાકના નમૂનાઓ એકત્રિત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઢોસાના ખીરામાં કોઈ ભેળસેળ હતી કે નહીં, તે અંગે સત્ય હવે વૈજ્ઞાનિક તપાસ બાદ જ બહાર આવશે.


