અમદાવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતા માટે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યભરમાં રાજકીય પારો ગરમાયો છે. આ નિવેદનના વિરોધમાં મંગળવારે અમદાવાદ શહેર ભાજપ દ્વારા શહેરના જાણીતા ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતે એક વિશાળ ધરણા પ્રદર્શન કરી ખડગેના નિવેદનને વખોડી કાઢ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર ભાજપ દ્વારા યોજાયેલ ધરણા પ્રદર્શનમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ખડગેના નિવેદનને ગુજરાતની અસ્મિતાનું અપમાન ગણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે, આક્રમક સૂત્રોચ્ચારને બદલે કાર્યકર્તાઓએ મૌન ધારણ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જે ખડગેના નિવેદન સામે એક ગંભીર સંદેશ આપવાનો પ્રયાસ હતો.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહેવાના નિવેદનના રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ શહેર પ્રમુખની આગેવાનીમાં ધારાસભ્યો અમિતભાઈ શાહ, દિનેશભાઈ કુશવાહ, અને અમૂલભાઈ ભટ્ટ સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. તેમની સાથે અમદાવાદ શહેર ભાજપના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.


