ગાંધીનગર : ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા સુરતના બે બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના ‘ઓફિરા સિએસ્ટા’ પ્રોજેક્ટના પ્રમોટર ‘અવંતિસ ડ્રીમ હોમ્સ એલએલપી’ એ પ્રોજેક્ટના નાણાં અલગ બેંક ખાતામાં જમા ન કરાવીને રેરાના નિયમોનો ભંગ કર્યો હોવાથી ઓથોરિટીએ તેમને રૂ.2 કરોડ રૂપિયાનો માતબર દંડ ભરવાનો આદેશ આપ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓથોરિટી સમક્ષ રજૂ થયેલી વિગતો મુજબ, વર્ષ 2021 થી 2024 દરમિયાન આ પ્રમોટરે અંદાજે 40.70 કરોડ રૂપિયાથી વધુની રકમ રેરાના નિયમ મુજબ અલગ રખાયેલા બેંક ખાતામાં જમા કરાવી ન હતી.સુનાવણી દરમિયાન પ્રમોટરે એવી દલીલ કરી હતી કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથેના લોન કરાર અને બેંકના ‘રાઈટ ઓફ સેટ-ઓફ’ ને કારણે જો તેઓ ખાતામાં નાણાં જમા કરાવતા તો બેંક તે રકમ લોન પેટે વસૂલી લેતી હતી.આથી બાંધકામ અટકે નહીં તે હેતુથી તેમણે આ રકમ સીધી પ્રોજેક્ટના કામમાં વાપરી હતી. પ્રમોટરે વધુમાં જણાવ્યું કે આમાં કોઈ ઉચાપત કરવામાં આવી નથી અને પ્રોજેક્ટનું કામ પણ પૂર્ણતાના આરે છે.
ઓથોરિટીએ નોંધ્યું કે જાણ બહાર થઈ ભૂલ નથી, જાણી જોઈને નિયમોનું ઉલંલ્ઘન કરાયું છે. ફોર્મ-5 (વાર્ષિક ઑડિટ રિપોર્ટ) બિલ્ડરના પોતાના લોગ-ઇન આઇડીથી અપલોડ કરવામાં આવ્યા હતા, તો તમને આ ગેરરીતિ વિશે ખબર ન પડી તે માની શકાય નહીં.વધુમાં, આ અંગે ઓથોરિટીને અગાઉથી કોઈ જાણ કરવામાં આવી ન હતી.
આખરે, પ્રોજેક્ટના અંદાજિત ખર્ચ, રકમની મોટી હેરફેર અને ત્રણ વર્ષ સુધી ચાલેલી આ બેદરકારીને ધ્યાને રાખીને એડજ્યુડિકેટિંગ ઓફિસર પી.આર. પટેલે પ્રમોટરને 30 દિવસની અંદર રૂ.2 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ દંડની રકમ બિલ્ડરે પોતાના અંગત ભંડોળમાંથી આપવાની રહેશે અને તે પ્રોજેક્ટના ખાતામાંથી કે ગ્રાહકો પાસેથી વસૂલી શકશે નહીં.
આ સિવાય સુરતના `શ્રી કુબેરજી એલિગન્ટ’ પ્રોજેક્ટના પ્રમોટરે રિયલ એસ્ટેટ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરી ગ્રાહકો પાસેથી મળેલી રકમ અલગ બેંક ખાતામાં જમા ન કરાવતા, ઓથોરિટીએ તેમને 50 લાખ રૂપિયાનો માતબર દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગતો મુજબ, રેરા દ્વારા હાથ ધરવામાં આવેલી સુઓમોટો તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રમોટરે નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન અંદાજે 9.77 કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રોજેક્ટના નિયત રેરા બેંક ખાતામાં જમા કરાવી ન હતી.બિલ્ડર તરફથી બચાવમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમના એકાઉન્ટન્ટ રેરાના નિયમોથી અજાણ હતા અને સંબંધિત સ્ટાફ સભ્ય નોકરી છોડીને જતો રહ્યો હોવાથી આ ભૂલ થઈ હતી.વધુમાં તેમણે એવી ખાતરી આપી હતી કે, આ રકમનો ઉપયોગ માત્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે જ કરવામાં આવ્યો છે.
જોકે, રેરાના એડજ્યુડિકેટિંગ ઓફિસર પી. આર. પટેલે આ બચાવને નકારી કાઢતા જણાવ્યું હતું કે ઓડિટ રિપોર્ટ પ્રમોટરના પોતાના લોગિન દ્વારા જ અપલોડ કરવામાં આવ્યા હોવાથી તેઓ આ જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં.
ઓથોરિટીએ નોંધ્યું હતું કે, આ પ્રકારની નાણાકીય ગેરરીતિને હળવાશથી લઈ શકાય નહીં, ખાસ કરીને જ્યારે અન્ય ત્રણ પ્રોજેક્ટ્સમાં પણ આવી જ ક્ષતિઓ જોવા મળી હોય. આ ચુકાદા અનુસાર, પ્રમોટરે આગામી 30 દિવસમાં દંડની રકમ ભરવાની રહેશે.
રેરા એક્ટની કલમ 4(2)(1)(ડી) મુજબ બિલ્ડરે ગ્રાહકો પાસેથી મળેલા નાણાંના 70 ટકા રકમ એક અલગ ખાતામાં રાખવાની હોય છે, જેનો ઉપયોગ માત્ર બાંધકામ અને જમીનના ખર્ચ માટે જ કરી શકાય છે.


