અમદાવાદ: શહેરની શાન ગણાતી અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે હવે ‘મોબાઇલ પર જોરથી વગાડવામાં આવતા મ્યુઝિક અને રીલ્સ’ એક મોટી માથાના દુખાવા સમાન સમસ્યા બની રહી છે. મેટ્રોના કોચમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે મુસાફરો દ્વારા તંત્ર સમક્ષ કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં મેટ્રો મુસાફર પ્રણવ વસાવડાએ ટ્વિટર (X) ના માધ્યમથી આ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, મેટ્રોમાં મુસાફરી દરમિયાન કેટલાક મુસાફરો મોબાઇલ પર સોશિયલ મીડિયા રીલ્સ અથવા ગીતો અત્યંત ઊંચા અવાજે વગાડતા હોય છે. આને કારણે અન્ય મુસાફરોને અસ્વસ્થતા અનુભવાય છે અને મેટ્રોનો શાંતિપૂર્ણ મુસાફરીનો અનુભવ બગડે છે.
મુસાફરોની મુખ્ય માંગણીઓ:
સોશિયલ મીડિયા પર મુકાયેલી આ રજૂઆતમાં મેટ્રો પ્રશાસનને નીચે મુજબના પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે:
હેડફોનનો ઉપયોગ: મુસાફરોને ફરજિયાત અથવા વધુમાં વધુ હેડફોનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.
જાહેર સૂચનાઓ: મેટ્રો સ્ટેશન અને ટ્રેનની અંદર એનાઉન્સમેન્ટ (જાહેર સૂચનાઓ) દ્વારા મુસાફરોને નમ્રતાપૂર્વક અન્યની શાંતિ ન ભંગ કરવા સમજાવવામાં આવે.
ડિજિટલ શિષ્ટાચાર: જાહેર પરિવહનમાં ડિજિટલ સાધનોનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવે.
તમને જણાવી દઈએ કે રેલવેમાં મુસાફરી દરમિયાન વિભાગ અવારનવાર આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવતી હોય છે, આ ઉપરાંત રેલવે પ્લેટફોર્મ પર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મુસાફરો માટે નિયમિત સૂચનાઓ આપવામાં આવે છે.આમ રેલવે વિભાગની જેમ જ મુસાફરોને ફરજિયાત અથવા વધુમાં વધુ હેડફોનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે અને જાહેર પરિવહનમાં ડિજિટલ સાધનોનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવે.
અમદાવાદ મેટ્રો એ શહેરની જીવનરેખા બની રહી છે, ત્યારે તેમાં શિસ્ત અને શાંતિ જાળવવી એ દરેક નાગરિકની જવાબદારી છે. પ્રણવ વસાવડાની આ પોસ્ટ બાદ અન્ય મુસાફરોએ પણ સમર્થન આપતા જણાવ્યું છે કે, મેટ્રો પ્રશાસને આ બાબતે ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ જેથી દરેક મુસાફર આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકે.હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન આ બાબતે કેવા પ્રકારના પગલાં ભરે છે.


