અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. “જન સમર્થન”ના નામે રજૂ કરાયેલા આ સંકલ્પ પત્રને શહેર પ્રભારી ઋષિકેશ પટેલે જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ માટે શહેરના સર્વાંગી વિકાસનું સ્પષ્ટ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સંકલ્પ પત્રમાં અમદાવાદને સ્લમમુક્ત બનાવવાનો મોટો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં 50 હજારથી વધુ પાકા મકાનો બનાવવાની યોજના સામેલ છે. સાથે જ કેન્સર માટે વિશેષ અધ્યયન હોસ્પિટલ ઉભી કરવાનો અને 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ઘરે જઈને સારવાર તથા ટેસ્ટની સુવિધા આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.દિકરીઓ માટે સર્વાઇકલ કેન્સર માટે રસીઓ અપાશે. 70 વર્ષ ઉપરના સીનિયર સિટિઝનને મફત સારવાર આપવામાં આવે છે. આ સિવાય વીજબિલમાં પણ 43 ટકા બચત કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાઇટબિલનો બોજો ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મેટ્રો, બીઆરટીએસ અને એસટીની કનેક્ટિવિટી ઝડપથી મળે તે રીતે આયોજન કરવામાં આવશે. આગામી ચૂંટણી પૂર્વે પીરાણા સાઇટ સંપૂર્ણપણે દૂર કરી દેવાશે. દરેક ઝોનમાં સ્પોર્ટ એક્ટિવિટીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત બાયોગેસ અ સીએનજીગેસ માટે કચરામાંથી ઉત્પાદન કરવામાં આવશે. સરકારી શાળાઓમાં અંગ્રેજી શાળાઓ બનાવવાનું આયોજન છે. તેની સાથે જગન્નાથ મંદિરને પણ વિકસાવવામાં આવશે.
આ ઉપરાંત પીએમ મોદીના સંસદમાં મહિલાઓને 33 ટકા અનામતના વિઝનને અનુસરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની બધી ભરતીઓમાં 30 ટકા મહિલા અનામત રાખવામાં આવશે. તેની સાથે 500 કિ.મી. વિસ્તારમાં વર્ષો જૂની લાઇનો બદલવાનું આયોજન છે. 28 મોડેલ ફાયર સ્ટેશન અને ફાયરના અદ્યતન સાધનો લાવવામાં આવશે.


