અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં ખીરુંના ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓ, રાહા અને મિસ્ટીના મોતના કેસે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ મામલે લેબોરેટરીમાં મોકલવામાં આવેલા સેમ્પલ્સનો FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) રિપોર્ટ સામે આવી ગયો છે. જોકે, આ રિપોર્ટ બાદ તપાસ વધુ જટિલ બની હોય તેમ લાગી રહ્યું છે.FSL રિપોર્ટમાં કાંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી. રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા હવે પોલીસ તપાસ અટવાઈ છે. હવે, પોલીસ મૃત્યુનું કારણ નક્કી કરવા માટે તપાસ કરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 3 એપ્રિલે ઘટના બહાર આવ્યાના 15 દિવસ બાદ પણ આજે 18 એપ્રિલ સુધી અમદાવાદ પોલીસ બે માસૂમ બાળકીના શંકાસ્પદ મોતનું રહસ્ય શોધી શકી નથી.હવે 15 દિવસ પછી FSL રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં બંને બાળકીની બોડીમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ ન હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. પોલીસે આ મામલે હાલ મૌન સેવી લીધું છે. લોકો શંકા સેવી રહ્યા છે કે શું આ કેસનું રહસ્ય ક્યારેય બહાર નહીં આવે?
ત્યારે FSL રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા હવે પોલીસ તપાસ અટવાઈ છે. બંને બાળકીઓના મોત કેવી રીતે થયા? તે પોલીસ માટે મોટો પડકાર બની ગયો છે.
તમને જણાવી દઈએ કે ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.


