અમદાવાદ : અમદાવાદની શાન અને ભક્તોની આસ્થાના પ્રતીક સમાન 149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. અખાત્રીજના પવિત્ર અવસરે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં પરંપરાગત રીતે રથપૂજન અને ચંદનયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા પૂર્વેની એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે. મંત્રોચ્ચાર અને જય રણછોડના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
શાસ્ત્રોક્ત વિધિ મુજબ, અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ભગવાનના રથોનું પૂજન કરવાની પરંપરા છે. અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મંદિરમાં પરંપરાગત ‘ચંદનયાત્રા’ મહોત્સવની ઉજવણી સાથે ભગવાનના ત્રણેય રથોનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું.આ વિધિ રથયાત્રાના પૂર્વેનો સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે છે.
મંદિરના પ્રાંગણમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીના ‘નંદીઘોષ’, બહેન સુભદ્રાજીના ‘દેવદલન’ અને ભાઈ બલરામના ‘તાલધ્વજ’ રથનું પવિત્ર જળ અને પુષ્પોથી પૂજન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે હાથ ધરાયેલી આ વિધિમાં કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલ સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ પૂજન બાદ હવે રથોના સમારકામ અને રંગરોગાનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.
રથપૂજન પૂર્ણ થતા જ હવે મંદિરના પ્રાંગણમાં રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ જોવા મળશે. આગામી દિવસોમાં રથોના પૈડાંની મજબૂતીની તપાસ, શણગાર અને અન્ય વ્યવસ્થાઓ પર ધ્યાન આપવામાં આવશે. ભક્તોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી પણ અમદાવાદની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.
અષાઢી બીજે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે, ત્યારે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. આજની આ પૂજન વિધિ એ ભક્તો માટે સંકેત છે કે હવે ‘અષાઢી બીજ’ દૂર નથી. રથપૂજનની આ પરંપરા સદીઓથી જળવાયેલી છે, જે શહેરની શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે સંપન્ન થઈ છે.


