અમદાવાદ : અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી એક વ્યક્તિના મૃતદેહ મળવા બાબતે મહત્વનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આ મૃતદેહ 52 વર્ષીય કાનજીભાઈ નામના વ્યક્તિનો હોવાનું અને તેમની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાથે જ તેમનો હત્યારો અન્ય કોઈ નહીં પણ સોસાયટીમાં જ રહેતો એક સ્થાનિક હોવાનું અને હત્યા કરવા પાછળનું કારણ કોઈ ગંભીર બાબત ન હતી, પણ માત્ર જૂની અદાવત હોવાની હકીકત સામે આવી છે, ત્યારે હાલ તો પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મેમનગરમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાંથી આજે 22મી એપ્રિલને બુધવારે સવારના સમયે એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. જેની માહિતી મળતા જ સ્થાનિક ઘાટલોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે મૃતદેહની સ્થિતિ જોતા પ્રાથમિક રીતે હત્યાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને આ દિશામાં પોલીસે તપાસ આગળ વધારી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે.
પોલીસની તપાસમાં આ મૃતદેહ સામ્રાજ્ય સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી કામ કરતા 52 વર્ષીય કાનજીભાઈનો હોવાનું સામે આવ્યું છે. જેને સોસાયટીમાં રહેતા ઋત્વિક નામના યુવકે બોથડ પદાર્થ માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. સાથે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ હત્યા કરવા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે.
હત્યાના ગુના અને ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્ક્વોડ સૌથી મહત્વની ભૂમિકા ભજવી. પોલીસને મૃતદેહ મળવા અંગે સોસાયટી દ્વારા જાણ કરવામાં આવી, જે બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી. આ દરમિયાન ડોગ સ્ક્વોડના પણ ઘટના પર પહોંચી. જે ઠીક ઘટના સ્થળથી સીધી G બ્લોકમાં પહેલા માળે રહેતા આરોપીના ઘર સુધી ડોગ પહોંચી ગયું.
જે બાદ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા. જેમાં સોસાયટીમાં રહેતો ઋત્વિક નામનો યુવક જ શંકાસ્પદ અવસ્થામાં અવરજવર કરતો જોવા મળ્યો. જેના આધારે પોલીસને પ્રબળ શંકા ગઈ કે આરોપી બીજું કોઈ નહીં પરંતુ 25 વર્ષીય ઋત્વિક જ છે. જેની પ્રાથમિક પૂછપરછ કરાઈ અને હકીકત સ્પષ્ટ થઈ.. જેના આધારે ઘાટલોડિયા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
આરોપી સોસાયટીમાં જ તેના પિતા માતા અને બહેન સાથે રહે છે. આરોપી પોતે બેચલર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. ઘાટલોડિયા પોલીસે આરોપીની ધરપકડ બાદ હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.


