અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં એક મોટો વિસ્તાર જે જેમાં હાઉસિંગ બોર્ડની કોલોનીઓ અને સોસાયટીઓ આવેલ છે, તેમાં અનેક સોસાયટીઓ રીડેવલ્પમેન્ટમાં ગયેલ છે, જેના કારણે નારણપુરા વોર્ડમાં રીડેવલપમેન્ટ એક એવો મુદ્દો બની ગયો છે જે ભાજપની પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડી શકે છે. નારણપુરા એ ભાજપનો સૌથી સુરક્ષિત ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નારણપુરાના અનેક જૂના ફ્લેટ્સ અને સોસાયટીઓ (પ્રગતિનગર આસપાસ અને સોલા વિસ્તારોમાં) રીડેવલપમેન્ટમાં ગયા છે. તેના કારણે હજારો પરિવારો અત્યારે ભાડાના મકાનમાં અન્ય વિસ્તારોમાં રહેવા ગયા છે. એટલે કે સ્થળાંતરીત થયેલ મતદારો મતદાનના દિવસે નારણપુરા સુધી વોટ આપવા આવશે કે કેમ? જો મતદાનની ટકાવારી ઘટશે, તો તેની સીધી અસર ભાજપના વિજયના માર્જિન પર પડશે.
નારણપુરામાં આ મધ્યમ વર્ગીય મતદારો જે વર્ષોથી ભાજપને વોટ આપતા આવ્યા છે, તેઓ અત્યારે પોતાની હાલાકી માટે શાસક પક્ષની નીતિઓને જવાબદાર ગણાવી રહ્યા છે. જૂના રહીશો દૂર ગયા છે અને નવા રહીશો હજુ પૂરેપૂરા સ્થાયી થયા નથી, જેના કારણે ભાજપના ‘પેજ પ્રમુખ’ માટે દરેક મતદાર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.
સાથે સાથે કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારો આ મુદ્દાને હાઈલાઈટ કરી રહ્યા છે. તેઓ મતદારોને સમજાવી રહ્યા છે કે ભાજપના નેતાઓ માત્ર બિલ્ડરોના હિતમાં કામ કરે છે અને સામાન્ય રહીશોને વિસ્થાપિત કરી દીધા છે. જોકે ભાજપ અહીં મજબૂત સ્થિતિમાં જણાય છે, પરંતુ જો હાઉસિંગ બોર્ડના રહીશોની નારાજગી મતમાં પરિવર્તિત થાય, તો જીતનું માર્જિન ઘટી શકે છે.
નારણપુરામાં ભાજપ માટે હારવું મુશ્કેલ છે, પરંતુ રીડેવલપમેન્ટના કારણે વિસ્થાપિત થયેલા મતો જો વિરોધમાં જાય અથવા મતદાન ન કરે, તો ભાજપની લીડમાં મોટો ઘટાડો થઈ શકે છે. પક્ષના આંતરિક અહેવાલો મુજબ, નારણપુરાના કાર્યકરોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે કે જેઓ બહાર ગયા છે તેમને મતદાનના દિવસે વાહનોની સુવિધા આપીને પણ મતદાન મથક સુધી લાવવામાં આવે.


