અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુપ્રસિદ્ધ રથયાત્રાના માર્ગને આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવા માટે ₹19.59 કરોડના ખર્ચે નવીનીકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જમાલપુર ચાર રસ્તાથી દાણાપીઠ સુધીના આ રૂટ પર અત્યાર સુધીમાં અંદાજે 75 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી રથયાત્રા પૂર્વે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાને ધ્યાનમાં રાખીને રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં આવેલ શ્રી જગન્નાથજી મંદિરથી દર વર્ષે યોજાતી આ રથયાત્રામાં અમદાવાદ શહેર ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લાખો ભક્તો ઉમટી પડે છે અને માર્ગ ઉપર ભગવાનના દર્શનનો લાભ લે છે.અત્રે ઉલ્લેખનીય છેકે, મધ્યઝોનમાં પ્રાથમિક તબક્કામાં જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથજી મંદિર, જમાલપુર દરવાજા, વૈશ્યસભા, ખમાસા થઈ મ્યુનિસિપલ ઓફિસ કેમ્પસ (દાણાપીઠ) સુધીના માર્ગના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ વિકાસ કાર્યો અંતર્ગત જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથજી મંદિર સુધીના માર્ગ પર પ્લાન્ટેશન સાથે સેન્ટ્રલ મિડિયન, સેન્ટર લાઈટિંગ અને ગ્રીન પેચ સાથે કોટા તથા ગ્રેનાઈટ સ્ટોનના પેવમેન્ટ સાથે ફૂટપાથ બનાવવામાં આવશે. તેમજ મંદિરના પ્રવેશદ્વારથી ગેટ નં. 2 સુધી અને સમગ્ર પ્લાઝા વિસ્તારમાં કલાત્મક પેવિંગ અને વિશેષ લાઈટિંગ સાથે આધુનિક પ્લાઝા વિકસાવવામાં આવશે.આ ઉપરાંત જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ અને ખમાસા ચાર રસ્તા જેવા મુખ્ય જંકશનોનું રીડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટેબલટોપ, આઇલેન્ડ, સ્કલ્પચર, પ્લેસમેકિંગ, સેન્ટ્રલ વર્જ અને હેંગિંગ લાઈટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે, જેથી માર્ગ વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનશે.
આ પ્રોજેક્ટ જમાલપુર ચાર રસ્તાથી શરૂ થઈ જગન્નાથજી મંદિર, જમાલપુર દરવાજા, ખમાસા થઈ દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ ઓફિસ કેમ્પસ સુધીના માર્ગને આવરી લે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ આ વિકાસ કાર્યો રથયાત્રા દરમિયાન ભક્તોને વધુ સુરક્ષિત, સુવિધાસભર અને સુવ્યવસ્થિત અનુભવ પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.


