અમદાવાદ : ભાજપનો ગઢ ગણાતા અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાડિયા બેઠક પર કોંગ્રેસની પેનલની જીત થતા ઉજવણી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ખાડિયામાં કેસરિયો લહેરાય છે.ભાજપના વર્ષો જૂના અને અભેદ ગણાતા ખાડિયા વોર્ડમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, ખાડિયા બેઠક પર કોંગ્રેસના ધ્રુવ કલાપી (6376), બિરજુ ઠક્કર (6331), ઇલિયાસ પઠાણ (6323) અને મીનાબેન નાયક (6095)નો વિજય થયો છે. જે ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે.
અમદાવાદમાં ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, હવે જાણીએ ખાડિયામાં ભાજપ કેમ હાર્યું?
રિપોર્ટ મુજબ, 1980 માં ભાજપની સ્થાપના થયાના છ વર્ષ પછી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. એ સમયથી ખાડિયા વોર્ડ ભાજપનો ગઢ રહ્યો છે. જોકે હવે વર્ષ 2026 માં પરિસ્થિતિ બદલાઈ હતી. અમદાવાદનો ખાડિયા વિસ્તાર પોળનો વિસ્તાર છે. ઐતિહાસિક પોળો ધરાવતો વિસ્તાર કોમર્શિયલ બાંધકામને કારણે પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે. વળી, પરિવારો મોટા થવાને કારણે સ્થળાંતર અને સમસ્યાઓના કારણે આ વિસ્તારમાં મૂળ અમદાવાદીઓ કે જેઓ ભાજપ સાથે જોડાયેલા હતા એમની સંખ્યા ઘટી હતી. એસઆઇઆર બાદ અહીંથી 25,000 જેટલા મતદારોના નામ કમી થયા હતા. તેને પણ હારનું કારણ માનવામાં આવે છે.
આ ઉપરાંત, ખાડિયા વોર્ડમાં છેલ્લા ઘણાં સમયથી વધી રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં રોષ હતો. આ મુદ્દે ‘ખાડિયા બચાવ આંદોલન’ ચલાવતા આગેવાનો પૈકી એક અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરતા ભાજપની મુશ્કેલી વધી હતી. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના દિગ્ગજ નેતાઓને આ અપક્ષ ઉમેદવારને મનાવવા માટે મોકલ્યા હતા, પરંતુ સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ખાડિયામાં એક તરફ ભાજપ વિકાસના મુદ્દે મતો માંગ્યા હતા ત્યારે બીજી તરફ વિપક્ષ અને અપક્ષો જૂના શહેરના હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ થતા કોમર્શિયલ બાંધકામોને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.


