અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. અમિત શાહે આજે 16મે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણને લઈને અમદાવાદ તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ એક કલાક સુધી બેઠક કરી હતી. જ્યારે અમદાવાદની ચાર વિધાનસભાના વોર્ડના તમામ નવનિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી.
રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહએ ગાંધીનગર લોકસભા અંતર્ગત નારણપુરા, સાબરમતી, વેજલપુર અને ઘાટલોડિયા વિધાનસભાના વોર્ડના તમામ નવનિયુક્ત કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી અને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સંગઠનાત્મક મુદ્દાઓ, જનસેવા અને પ્રાદેશિક વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે જનતા દ્વારા ચૂંટાયેલા તમામ કાઉન્સિલરો જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરીને સમર્પણ, સંવાદ અને સેવા ભાવ સાથે કાર્ય કરી વિસ્તારના વિકાસમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવશે.
દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિત તમામ કોર્પોરેટરો સાથે ગૃહમંત્રીએ વન-ટુ-વન અને સામૂહિક ચર્ચા કરી હોવાના અહેવાલ છે. આ બેઠકમાં વિસ્તારના પડતર પ્રશ્નો, લોક કલ્યાણની યોજનાઓનું અમલીકરણ અને સંગઠનની મજબૂતી વિશે મહત્વનું મંથન કરવામાં આવ્યું છે.


