અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રોગચાળાએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. મળતી માહિતી મુજબ એપાર્ટમેન્ટના 500થી વધુ રહેવાસીઓ છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઉલટી સહિતની તકલીફોથી પીડાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક સપ્તાહથી એપાર્ટમેન્ટમાં દૂષિત પાણીની સપ્લાય થઈ રહી હતી. પાણીની લાઈનમાં ભંગાણ થયાની જાણ પણ સ્થાનિકોએ અગાઉથી AMCને કરી હતી, પરંતુ અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આરોપ રહેવાસીઓ લગાવી રહ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં કુલ 386 મકાનો આવેલા છે અને મોટી સંખ્યામાં લોકો રોગચાળાની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને નાના બાળકોમાં પણ બીમારીના લક્ષણો જોવા મળતા માતા-પિતામાં ચિંતા વધી છે.
રોગચાળાની માહિતી મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મેડિકલ ટીમ તાત્કાલિક આકાંક્ષા એપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી. ટીમ દ્વારા રહેવાસીઓના આરોગ્યની તપાસ, જરૂરી સારવાર અને પાણીના નમૂનાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઘટનાએ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા અને નગરસેવાઓની કામગીરી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. AMC દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતા લોકો બીમાર પડ્યા છે. સ્થિતિની ગંભીરતા જોઈ મેયર હિતેશ બારોટ પણ આકાંક્ષા ફ્લેટ દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરી સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું.
એક જ એપાર્ટમેન્ટમાં મોટી સંખ્યામાં લોકો ઝાડા-ઉલટીની ઝપેટમાં આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. હાલ તંત્ર દ્વારા રોગચાળાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે, જ્યારે રહેવાસીઓએ દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે.


