અમદાવાદ : અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજીને ઢોર માર મારનારા મહિલા PSI સોનલ રાઠોડને અંતે ગ્રામ્ય એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા PSI સોનલ રાઠોડ વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો કે, ગુજરાત યુનિવર્સિટી પોલીસે કેમ મહિલા પીએસઆઈને માર મારતા સમયે ના રોક્યા તે સવાલ સૌ કોઈ પુછી રહ્યાં છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં PCO ચલાવતા ગોપાલભાઈ દરજી બંને આંખે દેખી શકતા નથી. જેથી તેઓ કેબીન પર પેકેટ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈનું માનીએ તો, તેમની કેબીન પર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક છોકરાઓ પેકેટ તોડી જતા હોય છે. સોમવારે બપોરના સમયે પણ પેકેટનો અવાજ આવતા તેમને હાથ લાંબો કરતા એક બાળકનો હાથ પકડી લીધો હતો. જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી.આ મામલે કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવામાં આવી હતી.આ ફરિયાદના આધારે ગોપાલભાઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.
દરમિયાન જે છોકરાને હાથ લાગ્યો હતો તે ચાંગોદર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા PSI સોનલ રાઠોડનો પુત્ર હોવાનું સામે આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધનો આરોપ છે કે મહિલા PSI સોનલ રાઠોડે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ સાથે ઉગ્ર વર્તન કર્યું હતું અને તેમને માર માર્યો હતો. વૃદ્ધને આંખ પર લાફો મારવામાં આવતા તેમની આંખ લાલ થઈ ગઈ હતી. ઘટનામાં ઇજા પહોંચતા ગોપાલભાઈને હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હોવાનું જણાવવામાં આવ્યું છે.
જો કે, આ સમગ્ર ઘટના માધ્યમોમાં ચમકતા અને સોશિયલ મીડિયામાં વ્યાપકપણે વાયરલ થતા મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ, પ્રજ્ઞાચક્ષુ ગોપાલ દરજીના ઘરે જઈને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મીડિયાના કેમેરા જોઈ જતા સોનલ રાઠોડ ત્યાંથી આરોપી ભાગે તેમ ભાગી હતી.જો કે, ગોપાલ દરજીને માર માર્યો તે સમય દરમિયાન ગુજરાત પોલીસ સ્ટેશનમાં હાજર સ્ટાફે, મહિલા પીએસઆઈને કહ્યું નહોતું કે આ તમારા તાબાનું પોલીસ સ્ટેશન નથી. કે કોઈ હસ્તક્ષેપ પણ કર્યો નહોતો એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાથી આક્રોશિત ગોપાલભાઈએ મહિલા PSI સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મામલો પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પ્રાથમિક તપાસના આધારે ગ્રામ્ય એસપી દ્વારા મહિલા PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ સાથે પોલીસ અધિકારી દ્વારા થયેલા કથિત દુર્વ્યવહારના આ બનાવે પોલીસની કાર્યપદ્ધતિ સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીની પોલીસ શું કરી રહી હતી.


