અમદાવાદ: અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ કરોડોની છેતરપિંડી આચરનાર મહાઠગ પતિ-પત્નીની ધરપકડ કરીને મોટું કૌભાંડ બહાર લાવ્યું છે. પોલીસે અનિલ ભીખાભાઈ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બંનેએ અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.વૈભવી જીવન જીવવાના મોહમાં આ દંપતીએ અત્યાર સુધીમાં 15 જેટલા નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુની મસમોટી રકમ પડાવી લીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
પોલીસ તપાસમાં આરોપી અનિલ વિભાણીની ગુનાહિત કુંડળી સામે આવી છે, જે કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. અનિલ અગાઉ એક સામાન્ય ટ્રક ડ્રાઇવર તરીકે અને પથ્થરની ખાણમાં સામાન્ય નોકરી કરતો હતો. શોર્ટકટથી અમીર બનવાની લાલસામાં તે ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો. વર્ષ 2012માં તેણે સુરતના રાંદેર વિસ્તારમાં પોતાની પહેલી પત્નીની હત્યા કરી દીધી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ, વર્ષ 2019થી તેણે બીજી પત્ની વિમ્મી સાથે મળીને લોકોને આર્થિક ચૂનો લગાવવાનું સંગઠિત નેટવર્ક શરૂ કર્યું હતું.
આ ઠગ દંપતી ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સેલિબ્રિટીઝ સાથે પડાવેલા ફોટા લોકોને બતાવીને પોતાની ભારે વગ હોવાનો ડોળ કરતું હતું. લોકો પણ તેમની વાતોમાં આવીને સરળતાથી વિશ્વાસ કરી લેતા હતા. તાજેતરમાં જ તેમણે એક વ્યક્તિને શિકાર બનાવ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિના કેનેડામાં ફસાયેલા 24 કરોડ રૂપિયા પાછા કઢાવી આપવાની મોટી લાલચ આપીને આ દંપતીએ તેમની પાસેથી 2 કરોડ 27 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આવી જ રીતે અલગ-અલગ બહાના હેઠળ તેમણે કુલ 15 લોકો સાથે 20 કરોડ રૂપિયાથી વધુનું ફ્રોડ આચર્યું હોવાની પ્રબળ આશંકા છે.
EOWની તપાસમાં આરોપીઓ પાસેથી અંદાજે 20 કરોડ રૂપિયાની કિંમતનો વૈભવી ગાડીઓનો કાફલો જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસે 10 બેંક એકાઉન્ટ અને 3 લોકર પણ ફ્રીઝ કર્યા છે. તપાસ દરમિયાન આરોપીએ પોતાની દીકરીના લગ્નમાં 30 તોલા સોનું આપ્યું હોવાની પણ કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને શંકા છે કે અનિલ અને વિમ્મી વિભાણીએ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 જેટલા લોકોને નિશાન બનાવી 20 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હોઈ શકે છે. તેથી હવે EOW અન્ય સંભવિત ભોગ બનનારાઓ અને નાણાકીય વ્યવહારોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.


