અમદાવાદ : અમદાવાદમાં મોટેરા જૂના ગામ વિસ્તારમાં આસારામ આશ્રમની આસપાસના ગેરકાયદે બાંધકામો પર AMCના પશ્ચિમ ઝોન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ચાંદખેડા પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કામગીરીમાં કરોડોની સરકારી જમીન પર બનેલો આશ્રમનો મુખ્ય ગેટ અને આસપાસના 17 જેટલા મકાનોના ગેરકાયદેસર ભાગોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. ડિમોલિશન દરમિયાન સ્થાનિકોના ઉગ્ર વિરોધ, આત્મવિલોપનની ચીમકી અને ઘર વિહોણા બનેલા પરિવારોના ભારે આક્રંદને પગલે સ્થિતિ તંગ બની હતી.
રિપોર્ટ મુજબ, અમદાવાદના મોટેરા જુના ગામ વિસ્તારમાં આજે મેગા ડિમોલિશન હાથ ધરાયુ હતું. મોટેરામાં આસારામ આશ્રમ નજીકના ગામતળ જમીન પર ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જમાં ગામ લોકો વિરોધ પર ઉતરી આવ્યા હતા. મનપાના અધિકારીઓ સામે લોકોની નારાજગી જોવા મળી હતી. માપણી વગર ડિમોલિશન કરવા આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. સાથે જ મકાન ખાલી કરવાની સૂચના મળતાં જ સ્થાનિકો અધિકારીઓ પર વિફર્યા હતા.આસારામ આશ્રમ પાસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મહિલાઓ પોતાનું મકાન તૂટતા રડી પડી હતી. આ દરમિયાન એક મહિલાએ ફિનાઈલ પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
પોલીસ બંદોબસ્ત સાથે સવારે મોટેરા વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. ડીમોલેશનમાં 5 પીઆઇ, 1 એસીપી, 10 પીએસઆઇ અને 103 કોન્સ્ટેબલ બંદોબસ્તમાં પહોચ્યા હતા. આ વચ્ચે જ ડિમોલિશન કરવા આવેલા લોકો પર સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો. લોકોનો સહકાર ન મળતા વિરોધ કરનારા લોકોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. અનેક મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી છે. આખા જુના મોટેરા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
બીજી તરફ, મનપાના અધિકારીઓની આ કામગીરી સામે સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા જમીનની કોઈ પણ પ્રકારની યોગ્ય માપણી કર્યા વિના જ સીધું ડિમોલિશન કરવા અધિકારીઓ આવી પહોંચ્યા છે. યોગ્ય પ્રક્રિયા કર્યા વગર થઈ રહેલી આ તોડફોડનો સ્થાનિકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, જેને પગલે અધિકારીઓ અને જનતા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે.


