અમદાવાદ : આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની શુક્રવારે બેઠક મળી હતી. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતોની ટ્રાન્સફર ફી મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સુપર રિચ કેટેગરીમાં આવતી બન્ને પ્રકારની મિલકતોની ટ્રાન્સફર ફીના દરમાં ફેરફાર કરાયો છે.
AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે તા 16-1-23 થી સ્ટે.કમિટીની અપેક્ષાએ નવા દર અમલમાં આવશે. વર્ષ 2013-14 બાદ ટ્રાન્સફર ફીના દરમાં સુધારો કરાયો છે. નવા દર અમલમાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 15 કરોડથી વધુની આવક થવાની સંભાવના છે.
અગાઉ રહેણાંક મિલ્કત માટે ટ્રાન્સફર ફીના દર દસ્તાવેજની કિંમતના 0.025 % હતા, જયારે કોમર્શિયલ મિલ્કતો માટે તેજ દર 0.05 % હતા. હવે સ્ટે.કમિટીની મંજૂરી મળ્યા બાદ નવા દર લાગુ પડશે.
રહેણાંકની મિલકતો માટે
– 25 લાખ સુધીની મિલકતોની ટ્રાન્સફર ફી 1,000 રૂપિયા લેવાશે.
– 25થી 50 લાખ સુધીની પ્રોપર્ટીની ટ્રાન્સફર ફી 2,000 રૂપિયા લેવાશે.
– 50 લાખથી 1.50 કરોડની મિલકત પર (રજિસ્ટર્ડ દસ્તાવેજની કિંમતના) 0.10 ટકા ટ્રાન્સફર ફી લેવાશે.
– 1.50 કરોડથી ઉપરની મિલકત પર (રજિસ્ટર્ડ દસ્તાવેજની કિંમતના) 0.20 ટકા ટ્રાન્સફર ફી ભરવાની રહેશે.
બિનરહેણાંક (કોમર્શિયલ) મિલકતો માટે
– 25 લાખ સુધીની પ્રોપર્ટી માટે ટ્રાન્સફર ફી 2,000 રૂપિયા લેવાશે.
– 25 લાખથી 50 લાખ સુધીની પ્રોપર્ટી પર 4,000 રૂપિયા ટ્રાન્સફર ફી ભરવી પડશે.
– 50 લાખથી 1.50 કરોડની મિલકત પર (રજિસ્ટર્ડ દસ્તાવેજની કિંમતના) 0.2 ટકા ટ્રાન્સફર ફી લેવાશે.
– 1.50 કરોડથી વધુની પ્રોપર્ટી પર (રજિસ્ટર્ડ દસ્તાવેજની કિંમતના) 0.40 ટકા ટ્રાન્સફર ફી લેવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી માત્ર 10 ટકા લોકોને જ અસર થશે. AMCએ જણાવ્યું છે કે વારસાઈ કે વીલથી અપાતી મિલ્કતના કિસ્સામાં આ નિર્ણય લાગુ પડશે નહીં.