અંબાજી : શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. ભાદરવી પૂનમ બાદ ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન પણ અંબાજી મંદિરમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે માઇ ભક્તો માતાજીના ભંડારામાં દાન પણ કરતા હોય છે. 28 માર્ચના રોજ અંબાજી મંદિર ભંડાર સ્ટ્રોંગ રૂમમાં ભંડાર ગણતરી કરવામાં આવી હતી જેમાં અંબાજી મંદિર ભંડારા અને ગબ્બર મંદિર ભંડારાની આવક 50 લાખ રૂપિયા કરતાં વધુ નોંધાઈ હતી.
ગુજરાત ફર્સ્ટના રિપોર્ટ મુજબ અંબાજી મંદિરમાં 21 માર્ચના રોજ ભંડાર ગણતરી કરવામાં આવી હતી, ત્યારબાદ 22 માર્ચથી નવરાત્રી પર્વ શરૂ થયો હતો ત્યારે ભક્તો અંબાજી મંદિર અને ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા અને ભક્તો દ્વારા માતાજીના ભંડારામાં દાન પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે 28 માર્ચના રોજ અંબાજી મંદિર ભંડાર કક્ષમાં સુરક્ષા કર્મીઓની હાજરીમાં મંદિર સ્ટાફ દ્વારા ભંડાર ગણતરી શરૂ કરવામાં આવી હતી, જે બપોર સુધી ચાલી હતી. જેમાં અંબાજી મંદિર ભંડારાની અને ગબ્બર ભંડારાની કુલ આવક 50 લાખ જેટલી નોંધાઈ હતી.
તમને જણાવી દઈએ કે અંબાજી મંદિરમાં માઇ ભક્તો અવારનવાર માતાજીનો ભંડારો છલકાવી દેતા હોય છે ત્યારે ચૈત્રી નવરાત્રી પર્વમાં પણ માઈ ભક્તો અંબાજી મંદિર ખાતે દર્શન કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા, ત્યારે અંબાજી મંદિર અને ગબ્બર ખાતે પણ મોટી સંખ્યામાં દાન કર્યું હતું જે કારણે અંબાજી મંદિરનો દાનનો ભંડારો છલકાઈ જવા પામ્યો હતો અને અધધ 50 લાખ 12 હજાર 825 રૂપિયાની આવક નોંધાઇ હતી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.