અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે જેને રોકવા માટે થઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર પગલાં ભરવામાં આવતા હોય છે. ત્યારે હવે શહેરમાં નવી બનતી ચાલુ બાંધકામ સાઈટો ઉપર બાંધકામ દરમિયાન નવી બનતી બિલ્ડીંગ ઉપર ગ્રીનનેટ અને બેરીકેડ લગાડવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રજા ચિઠ્ઠીમાં ઉલ્લેખ હોય છે. પરંતુ તેમ છતાં કમિશનરના આદેશનું ઉલ્લઘંન કરનાર 504 બાંધકામ સાઇટને નોટિસ આપી 66 લાખ વહિવટી ચાર્જ વસુલ કરાયો છે.
અમદાવાદ શહેરનો વ્યાપ આજે માત્ર સિટી વિસ્તાર પુરતો નહીં, પરંતુ શહેરની રાઉન્ડમાં આવેલા એસપી રીંગ રોડને પણ પાર થઇ ગયો છે. આજે જે રીતે શહેરનો ગ્રોથ વધ્યો છે તેમ જરૂરિયાત પણ વધી છે. ધંધા રોજગાર માટે બહારથી આવતા લોકો માટે આસરો બની રહે તે માટે હવે મકાનોની ડિમાન્ડ પણ વધી છે. તેવામાં શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટના પગલે હવામાં ઉડતા ધૂળના સુક્ષ્મ રજકણો બિમારીનું ઘર કરી રહ્યા છે.
એક તારણ મુજબ શહેરમાં હવાના 90 ટકા પ્રદૂષણ માટે સાઇટનો તેમજ રોડ પરથી ઉડતા ધૂળના સુક્ષ્મ રજકણો જવાબદાર મનાઇ રહ્યા છે. બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ બાંધવામાં આવતી ન હોવાથી હાનિકરક પીએમ 10 સીધા શ્વાસમાં જાય છે.હવામાં ઉડતા 10 માઇક્રોન અથવા તેનાથી ઓછું ડાયામીટર ધરાવતા વાયુ રજકણ શ્વાસો શ્વાસ મારફત શરીરમાં પ્રવેશ કરે છે. જે માણસના ફેફસા માટે અત્યંત ઘાતક સાબિત થાય છે. જે ભવિષ્યમાં ફેફસાંમાં મોટું નુકશાન પહોંચાડી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા એક આદેશ જાહેર કરાયો છે કે, જે પણ બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન હોય તેવી બાંધકામ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે. તેમજ મોટા વહિવટી ચાર્જ વસુલ કરાય. જે અંતર્ગત એએમસી દ્વારા 504 સાઈટને નોટિસ ફટકારી છે, તેમજ હવા પ્રદૂષિત કરતાં બિલ્ડરો પાસેથી 66 લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો છે.