અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવેલ ફલેટ ટાઈપ મકાનો મોટેભાગે જર્જરિત અને ખૂબ જ ખરાબ હાલતમાં હોવાને કારણે જૂના ફ્લેટ્સમાં મકાન સ્લેબ, પેરાફિટ કે દીવાલ વગેરે ધરાશાયી થવાના સમાચારો આવતા રહે છે. મતલબ કેટલીક જૂની કોલોનીઓમાં મકાનોનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે અને દેખીતી રીતે કે ટેકનિકલ રીતે જર્જરીત હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં નારણપુરામાં લક્ષ્મીકૃપા એપાર્ટમેન્ટમાં એક ફલેટમાં આખેખાખી છત ધરાશયી થઈ હતી, આ સિવાય દર્શન એપાર્ટમેન્ટમાં પેરાફિટની દિવાલ ધરાશયી થઈ હતી.જો કે દૂર્ઘટના સમયે કોઈ ન હોવાને કારણે કોઈ જાનીહાનિ સર્જાઈ નથી.
અત્યારે ગરમીની ઋતુમાં આવા હાલ છે તો આવનારા ચોમાસામાં આવા કેટલા અકસ્માતો કે ઘટનાઓ બનશે? સદનસીબથી કેટલા લોકો બચશે જાનહાનિથી. આવી ચિંતા અને દુરંદેશીથી હાઉસીંગ બોર્ડ દ્વારા સરવે અનુસંધાને દેખીતા જર્જરીત ઈડબલ્યુએસ અને એલઆઈજી કેટેગરીના મકાનોના ત્યાંના રહીશોની નિયમ મુજબની લેખીત ટેન્ડર સંમતિ વગર ફક્ત મૌખિક સંમતિ પર રિડેવલપમેન્ટ માટેના ટેન્ડર પ્રકાશિત કરી દીધા છે. એક રીતે જોવા જઈએ તો આવી સોસાયટી ઉપર ગુ.હા.બોર્ડ અને સરકારનો ઉપકાર જ કહેવાય. ઉપકારને આશીર્વાદ સમજી આવી સોસાયટીએ આવેલ તકને વધાવી લેવાય અને સકારાત્મક અભિગમ સાથે રિડેવલપમેન્ટમાં આગળ વધવું જોઈએ.જાન હે તો જહાન હે…
ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2016માં રિડેવલપમેન્ટ પોલીસી લાવી છતાં 2016 થી 2022 સુધી માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી હાઉસીંગ કોલોનીઓ રિડેવલપમેન્ટ પોલીસી જોડાઈ શકી છે. જેમાં મોટેભાગે એચઆઈજી અને એલઆઈજી કેટેગરીના ફલેટ જોડાઈ રહ્યા છે. પરંતુ ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટો હજુ સુધી જોઈએ એવો રસ દાખવતા નથી.જો કે આ કેટેગરીના ફલેટોમાં વધારાનું બાંધકામ કરાયેલ છે. અલગ અલગ ફલેટોમાં અલગ અલગ સમસ્યાઓ છે. જેમાં પોલીસી મુજબ નવા બાંધકામો નાના મળતા હોવાની ફરિયાદો રહીશો કરી રહ્યા છે .જેને કારણે સૌથી જર્જરિત ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટો છે કે જયાં રહીશો જર્જરિત બાંધકામમાં જીવના જોખમે રહી રહ્યા છે.
ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટોની રિડેવલપમેન્ટમાં અવરોધરૂપ ક્યાંકને ક્યાંક રહીશો પોતે છે, કયાંક એસોશિયેશન છે તો કયાંક હાઉસીંગ બોર્ડને પણ ગણી શકાય છે. કેટલીક જગ્યાએ તો રહીશો રિડેવલપમેન્ટમાં જોડાવવા આતુર છે પણ એસોસિયેશનના હોદ્દેદારો કોઈને પૂછયા વગર હજુ રાહ જુઓ…સમય જવા દો હજુ વધુ મોટું મળશે…જેવી નીતિ અપનાવી રહ્યા છે.તો કેટલીક જગ્યાએ એસોસિયેશનના હોદ્દેદારો પોલીસી બહારની માગણી કરી રિડેવલપમેન્ટમાં જરા પણ રસ દાખવતા નથી, ભલે રહીશોનું જે થવું હોય તે થાય…
હાઉસીંગ બોર્ડની વાત કરીએ તો એકબાજુ બોર્ડ દ્વારા આવા જર્જરિત ફલેટોના ફક્ત મૌખિક સંમતિ પર રિડેવલપમેન્ટ માટેના ટેન્ડર પ્રકાશિત કરી પોતાની ફરજ પુરી થઈ ગઈ હોવાનો આત્મસંતોષ માની રહ્યા છે. ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટોમાં મોટેભાગે ગરીબ અને ગરીબ મધ્યમ વર્ગના લોકો વસે છે જેઓ ઓછુ ભણેલા હોય છે. જેઓને ગુજરાત સરકારની રિડેવલપમેન્ટની પુરતી સમજણ હોતી નથી. અહીં રહેતા લોકો મોટેભાગે સ્થાનિક આગેવાનો અને જાણકારના ભરોસે હોય છે, કે જેઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર રિડેવલપમેન્ટને અટકાવી રહ્યા છે. ત્યારે હાઉસીંગ બોર્ડના કર્મીઓ કે અધિકારીઓ રહીશો વચ્ચે જવું જોઈએ. આ ફલેટોમાં રહેતા રહીશોને પોલીસી સમજણ આપવા વાસ્તવિકતા જણાવવા હાઉસીંગ બોર્ડે આ પ્રકારના ફલેટોમાં લોકોની વચ્ચે જવું જોઈએ.