અમદાવાદ : સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ. 75 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહેલા આઇકોનિક ફૂટ ઓવરબ્રિજનું આગામી મહિને ઉદ્ઘાટન કરવામાં આવે તેવી પુરી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અટલબ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જૂન મહિનામાં આ અટલબ્રિજનું લોકાર્પણ કરી ખુલ્લું મુકવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર પદયાત્રીઓ અને સાઇક્લિસ્ટો માટે આ ફૂટ બ્રિજ આકર્ષણરૂપ બની રહે તે માટે કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફૂટ ઓવરબ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે.
આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને પશ્ચિમ તથા પૂર્વના બંને છેડેથી તેમાં પદયાત્રીઓ સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે. આ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ 2019ના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાકાળને કારણે ખાસ્સો લાંબો સમય કામ બંધ રહેતા વિલંબ થતાં મે મહિનાના અંતમાં બાંધકામ પૂરું કરી દેવામાં આવશે અને તેનું લોકાર્પણ કરવામાં આવશે.