ગાંધીનગર: છેલ્લા પોણા બે વર્ષમાં ગુજરાતમાં ત્રણ-ત્રણ દુર્ઘટનાઓ બની છે, જેમાં મોરબી પુલ દુર્ઘટના, હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઘટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં બની છે. એમાં પણ રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારની કામગીરી પર સવાલો ઊઠી રહ્યા છે, ત્યારે આજે મુખ્યમંત્રીએ પહેલીવાર વિકાસકાર્યો અને એમાં રહી જતી ખામીઓનો સ્વીકાર કર્યો હતો. માત્ર એટલું જ નહીં, પ્રજાની ફરિયાદો સાંભળવા માટે પણ અધિકારીઓને તાકીદ કરી હતી.
આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિકાસકામો માટેની ગ્રાન્ટના 2111 કરોડના ચેક વિતરણનું શહેરી વિકાસ દ્વારા કરવામાં આવેલ આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જો કે અહી તેમણે રાજકોટમાં સર્જાયેલ ગેમ દુર્ઘટના અંગે નિવેદન આપ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે માનવજીવનની સુરક્ષાને સૌથી પહેલી પ્રાયોરિટી આપવી જોઇએ. માનવજીવન સુરક્ષા સંદર્ભમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે આ બાદ ગેમઝોનને લઈને SOP બનાવી દેવામાં આવી છે અને પબ્લિક ડોમેઇનમાં પણ મૂકી દીધી છે. આપણે પબ્લિકને પણ આ બાબતે પૂછી લઈએ કે એમને આ બાબતે આમાં કઈ ઉમેરવા જેવુ લાગતું હોય તો ઉમેરીએ. જેથી કરીને આવી કોઈ બીજી ઘટના ફરી ન બને. એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું પડશે. વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ પણ જેના માટે વિકાસ કરી રહ્યા છીએ એનું જો ધ્યાન નહિ રાખીએ તો તે આપણાં માટે કોઈ ઉપયોગી ન થઈ શકે એવું બને.
તેમણે સરકારી તંત્રના અધિકારીઓને ટકોર કરતાં કહ્યું હતું કે જે નાની ફરિયાદો પ્રજાજનોમાંથી આવે છે તેનો ઉકેલ કરવા વિચાર કરી શકાય. હવે તો સીધો વીડિયો બનાવીને જ મોકલી દે છે કે જુઓ આ વીડિયો કામ થઈ રહ્યો છે. આ વાત મીડિયા કરશે તો ક્રિટીસાઇઝ જેવુ લાગશે પણ તેઓ ક્રિટીસાઇઝ નથી કરતાં પણ નાની ભૂલો બતાવી જાગ્રત કરે છે. જો તેના પર ધ્યાન આપવામાં આવશે તો પણ ઘણું મોનીટરીંગ થઈ જાય છે.