ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આજે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.મંત્રીએ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, “ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઈ ગઈ છે. આ અદ્યતન ટેક્નોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરિકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નહેરુનગરથી સુરત માટે આઠ બસો, અમદાવાદ નહેરુનગરથી વડોદરા ખાતે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે.”
વધુમાં હર્ષભાઈ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, “આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડિટેક્શન અને અલાર્મ, ફાયર ડિટેક્શન અને સપ્રેશન, અને ફાયર ડિટેક્શન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે.”
“બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને 250 લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરિકો સુરક્ષિત બહાર આવી શકશે. સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.”
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં 47 સીટીંગ કેપેસીટી, 2×2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, સી.સી.ટી.વી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસીલીટી, ફાયર સેફ્ટી માટે અદ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝોસ્ટ ફેન સાથેના હેચ, ઈમરજન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેક્નોલોજી સુવિધાઓથી સજ્જ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક અનુપમ આનંદ સહિત એસ.ટી. વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.