અમદાવાદ : અમદાવાદ: રાજ્યમાં રફ્તારના રાક્ષસોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ ફરી એક વખત બેકાબૂ કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી હતી. આ સાથે જ પાર્ક કરેલા ટુ વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઇસનપુરના વહેલી સવારે ઘોડાસરમાં એક અકસ્માત થયો છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર દુકાન સાથે અથડાઈ હતી અને કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી હતી.દુકાનની બહાર પાર્ક કરેલા ટુ વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધા હતા.જેના કારણે રસ્તા પર ચાલતા લોકો અને વાહન ચલાવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકોએ કાર ચાલકને કારમાંથી બહાર કાઢ્યો અને કાર ચાલક પણ ઘાયલ થયો જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, આ ઘટના ઘોડાસરના સ્મૃતિ મંદિર પાસે બની હતી.
આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જે દુકાનને નુકસાન થયું છે તેના દુકાનદાર પણ પોલીસ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી તેવું બહાર આવ્યું છે. ટ્રાફિક પોલીસે કાર ચાલક અને નજીકના સ્થાનિક લોકોના નિવેદનો લીધા છે, એવી પણ શક્યતા છે કે પોલીસ ઘાયલ કાર ચાલક સામે ગુનો નોંધી શકે છે, તેથી પોલીસ તપાસ કરી રહી છે કે કાર ચાલકે દારૂ પીધેલી હાલતમાં આ અકસ્માત સર્જ્યો છે કે નહીં.