અમદાવાદ : અમદાવાદીઓ જો ઇ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો. કારણ કે અમદાવાદમાં 30 હજાર વાહન ચાલકોને SMSથી ઇ-મેમો ભરવાની જાણ કરાઈ છે. 26 જૂને લોક અદાલત કાર્યક્રમમાં પણ ઇ-મેમો ભરી શકાશે. શહેરમાં છેલ્લા 6 મહિનામાં મેમો નહીં ભરનારા 800 વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે QR કોડ અને ઓનલાઈન મારફત પેમેન્ટ કરવાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ રાખી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરની ટ્રાફિક શાખાના ડેટા મુજબ, શહેરીજનોના 249 કરોડથી વધુ રૂપિયાના ઇ-મેમો ભરવાના બાકી છે. ત્યારે ઇ-મેમો સંદર્ભે કોઈ રજૂઆત કરવા ઈચ્છતા જે લોકો અથવા કોઈ અન્ય સમસ્યા હોય તેમના માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં લોકો પોતાની રજૂઆત કરી શકશે.
26 જૂને લોકઅદાલત યોજાશે જેમાં ઇ-મેમો આવેલ હોય અને ના ભર્યો હોય અથવા કોઈ મુંઝવણ હોય તો તે લોક અદાલતમાં જઈ શકે છે. લોક અદાલતમાં સામાન્ય જનતા અને પક્ષકારો વચ્ચે તકરારનો સમાધાનકારી અને ઝડપી નિકાલ કરવામાં આવશે. જો કોઈ ઇ-મેમો ભરવા ઇચ્છતું હોય તો તે નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અથવા ઇ-ચલણની વેબસાઈટમાં પણ પેમેન્ટ કરી શકશે.