અમદાવાદ : ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી દિવસોમાં ફાગણસુદ પુનમનો મેળો યોજાનાર છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ડાકોર દર્શનાર્થે જતા હોય છે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તેને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે હોળી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ફાગણસુદ પુનમના મેળામાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુ આવતા હોય છે. જેમાં અમદાવાદના જશોદાનગરથી હાથીજણ રીંગરોડ લાલગેબી સર્કલથી હાથીજણ-મહેમદાવાદ મુખ્ય નેશનલ હાઈવે પરથી શ્રદ્ધાળુઓ પગપાળા કરીને ડાકોર જતા હોય છે. પગપાળા ડાકોર જતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી મુજબ, ડાકોરમાં હોળીને લઈને સ્પેશિયલ ટ્રાફિક એડવાઈઝરી 9 થી 15 માર્ચ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, એવા ઘણા રસ્તાઓ હશે જ્યાં કોઈપણ પ્રકારના વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ હશે. આ સાથે વૈકલ્પિક માર્ગો પણ સૂચવવામાં આવ્યા છે.
આ રહેશે પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ
તમને જણાવીએ દઈએ કે, જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા તરફના એક તરફના રોડ પર અવર-જવર બંધ છે, જ્યારે બીજી સાઈડ પરથી અવર-જવર કરી શકશે. તેમજ, વિંઝોલથી જશોદ નગર તરફ જતાં વાહનો રિંગરોડ પરથી ડાયવર્ટ થઈ શકશે. જેમાં વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવે અને નારોલ સર્કલ તરફ અવર-જવર કરી શકશે. જેમાં 16 માર્ચથી 26 માર્ચ સુધીનો એક સાઈડનો રોડ બંધ રહેશે. આ રોડ પર ડાકોર જતા પદયાત્રીઓના જીવન જરૂરી વસ્તુ લઈ જવા માટે વાહનો, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનોને જાહેરનામામાં છૂટ આપવામાં આવી છે.
ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ફાગણી પૂનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આવશે, ત્યારે ડાકોર મંદિર કમિટી દ્વારા આગામી હોળી-ધૂળેટી એટલે કે, 12 થી 15 માર્ચને લઈને ભગવાનના દર્શન માટેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ફાગણ સુદ 14ના દિવસે 13 માર્ચના રોજ 4:45 વાગે નિજ મંદિર ખુલશે અને 5:00 વાગે મંગળા આરતી થશે. જ્યારે 14 માર્ચના રોજ 3:45 વાગે નિજ મંદિર ખુલશે અને 4:00 વાગે મંગળા આરતી થશે.
દર વર્ષની જેમ ડાકોર ખાતે આવેલા સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિર ખાતે ફાગણી પુનમ (હોળી) નિમિત્તે આ વર્ષે પણ પદયાત્રીઓ/ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવનાર છે. ત્યારે તેઓના રાત્રી રોકાણ સમયે મનોરંજન તેમજ ડાકોરના ઠાકોર એવા રણછોડરાયના ગુણગાન કરવા માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર – ખેડા દ્વારા ડાકોર મેળા દરમ્યાન “ડાકોર ફાગણોત્સવ – 2025” નામે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા.11 અને 12 માર્ચ 2025 દરમ્યાન થનાર છે.