અમદાવાદ : હેલ્થકેર વર્કર જીવનકાળ દરમિયાન તો દર્દીઓના જીવ બચાવે જ છે પરંતુ, મૃત્યુ બાદ પણ કોઇ જરૂરિયાતમંદના વ્હારે આવવું તેનો જીવ બચાવવો તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું હતું.અમદાવાદની આ હેલ્થકેર વર્કરે જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને ચાંદખેડામાં આવેલી S.M.S. હોસ્પિટલ ખાતે ઓટી આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. તા. 18-03-2025ના રોજ સોનમબેન એક્ટિવા ચલાવી રહ્યાં હતા ત્યારે દાસ્તાન ચોકડી, નિકોલ પાસે એક્સિડેન્ટ થતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ. જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં. સારવાર દરમિયાન તા. 20-03-2025ના રોજ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ સોનમબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની અંગદાન સાથે જોડાયેલ ટીમે પરીવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજણ આપતા પરિવારજનોએ દીકરીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ 185માં અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 604 અંગોનું દાન મળેલ છે. જેના થકી 586 વ્યકિતઓને જીવનદાન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 185માં અંગદાનથી મળેલ બે કીડની અને એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમજ હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. આમ આ અંગદાનથી કુલ ચાર જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓને નવજીવન મળશે. અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 336 કિડની, 161 લીવર, 59 હ્રદય ,30 ફેફસા , 9 સ્વાદુપિંડ, બે નાના આંતરડા, 10 સ્કીન અને 126 આંખોનું દાન મળ્યું છે.