ગાંધીનગર: ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની જાહેરાત કર્યા બાદ 2025ના વર્ષમાં કેવી રીતે કામગીરી કરાશે તેનો એકશન પ્લાન જાહેર કર્યો છે.જેમાં પોલીસ કર્મચારીઓથી લઈને તમામ સરકારી અધિકારી-કર્મચારીઓ, નાગરિકો તમામ સુધી વિવિધ કાર્યક્રમો થકી પહોંચવાનો પ્રયાસ કરી મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ ફેલાવવામાં આવશે. તે માટે ઉદ્યોગપતિઓની પણ મદદ લેવાશે અને જંક ફુડને જાકારો આપવા માટે પણ અભિયાન ચલાવવામાં આવશે.
વિશ્વમાં 18 વર્ષથી ઉપરના લોકો પૈકીના 43 ટકા લોકો સરેરાશ કરતા વધુ વજન ધરાવતા હોવાનો અને 16 ટકા લોકો મેદસ્વિતા ધરાવતા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે. ડાયાબીટીસ અને મેદસ્વિતા અટકાવવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. રાજય સરકાર આ માટે તમામ વિભાગો થકી સામુહિક કાર્યક્રમો યોજશે.
તે માટે ઉદ્યોગપતિઓને પણ જોડીને આ મુદ્દે પ્રચાર પ્રસાર કરાશે. સરકારી અધિકારી-કર્મચારીઓને હેલ્થ ટીપ્સ અને રૂટીન ડાયેટની માહિતી સાથે અપડેટ રાખતી મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચીંગ કરાશે. તમામ કોલેજ-યુનિવર્સિટીમાં મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ પર સેમીનાર યોજવા સાથે તેમની કેન્ટીનમાં મિલેટસ (શ્રી અન્ન)નો પ્રચાર કરવામાં આવશે.
જંક ફુડનો યુવાઓ ઉપયોગ ઓછો કરતા થાય તે માટે વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા મેદસ્વિતા ના થાય તે માટે ડાયેટિશિયન અને ન્યુટ્રીશનિસ્ટ દ્વારા ખાસ ઓપીડી શરુ કરવામાં આવશે. વિવિધ સંપ્રદાય અને સંતોની સરદાર મદદ લેશે અને લોકોમાં સ્થુળતા સંદર્ભે જાગૃતિ ફેલાવવામાં આવશે.સોશિયલ મીડિયા થકી પ્રચાર સાથે શેરી નાટક-ડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરાશે. મહિલા અને બાળકોમાં મેદસ્વિતા સંદર્ભે પણ વિવિધ પ્રકારના અભિયાન શરૂ કરવામાં આવશે.
સરકારી અધિકારી-કર્મચારીની માહિતી પણ આ માટે ખાસ બનાવવામાં આવનારી મોબાઈલ એપમાં મૂકવા માટે તાકીદ કરવામાં આવી છે. પોલીસ માટે ખાસ પરેડ સાથે ફિટનેસ ટિપ્સ બાય પોલીસ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવશે.