અમદાવાદ : IPL 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28મી મેના રોજ સાંજે 7:30 વાગ્યે રમવાની છે. IPLની ફાઇનલ મેચને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. ફાઇનલ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, ફાઈનલ પહેલા આજે શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ક્વોલિફાયર-2 રમાઈ રહી છે. આ ક્વોલિફાયરમાં ફાઇનલમાં રમનારી બીજી ટીમ નક્કી કરવામાં આવશે.
એક રિપોર્ટ મુજબ IPL 2023ની ફાઈનલ મેચ માટે તમામ વીઆઈપી અને સેલિબ્રિટીની સાથે ત્રણ દેશોના બોર્ડ પ્રમુખ પણ અમદાવાદ પહોંચી રહ્યા છે. એશિયાના ત્રણ મોટા દેશો બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડના વડાઓ 28 મેના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચ જોવા માટે હાજર રહેશે.
આ દેશોના બોર્ડ ચીફના આગમનની પુષ્ટિ ખુદ IPL મેનેજમેન્ટે કરી છે. જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ નઝમુલ હસન, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મીરવાઈઝ અશરફ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ચીફ શમ્મી સિલ્વા સામેલ છે. BCCI સેક્રેટરી જય શાહના જણાવ્યા અનુસાર, આ દરમિયાન એશિયા કપ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ફાઈનલ મેચ માટે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન ટિકિટો થોડા જ સમયમાં વેચાઈ ગઈ. આ પછી IPL ચાહકો નિરાશ થયા હતા, પરંતુ જ્યારે 25 મેના રોજ ઑફલાઇન ટિકિટનું વેચાણ શરૂ થયું ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન કેટલાક લોકો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી અને લોકો નીચે પડી ગયા હતા.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોએ ખાસ તૈયારીઓ કરી છે. અમદાવાદ મેટ્રો ફાઇનલના દિવસે રાતે 1.30 વાગ્યા સુધી સેવાઓ આપશે. મુલાકાતીઓની સુવિધા માટે, મેટ્રોએ મેટ્રો મુસાફરી માટે રૂ. 25ની મેન્યુઅલ ટિકિટ પણ ઉપલબ્ધ કરાવી છે. આ વિશેષ ટિકિટ સાથે, મુલાકાતીઓ મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી અન્ય કોઈપણ સ્ટેશન પર મુસાફરી કરી શકશે. મેટ્રોએ એટલા માટે કર્યું છે કે એ દિવસે ટિકિટ માટે લાઈનો ન લાગે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) એ ક્વોલિફાયર મેચથી જ આ વ્યવસ્થા શરૂ કરી છે.