અમદાવાદ : શહેરમાં ફરી એક વખત કાયદાના ધજાગરા થયા હતા. અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને જાણે પોલીસ કે તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી તે રીતે વર્તી રહ્યા છે. ઘણી ઘટનાઓમાં તો પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને જોતી રહે છે. એવામાં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં પણ આવી જ ઘટના બની છે. જ્યાં દબાણ દૂર કરવા ગયેલી એસ્ટેટ વિભાગ અને SRPની ટીમ સાથે દબાણકર્તાઓએ ઝપાઝપી કરી હતી. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બની રહી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં ભદ્રકાળી મંદિર પરિસરની આસપાસ વર્ષોથી ફેરિયાઓ સ્ટોલ ઉભા કરીને રોજગારી મેળવે છે. ભદ્રકાળી મંદિરથી લઈને ત્રણ દરવાજા સુધી પાથરણાં બજાર આવેલું છે. જેમાં 800થી વધારે પાથરણાંવાળાઓને ઊભા રહેવાની પરવાનગી છે. જો કે ભદ્ર પરિસરમાં અન્ય પાથરણાંઓ અને લારીઓવાળાને કેટલાક સ્થાનિક આગેવાનો અને લુખ્ખા તત્ત્વો ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવી ત્યાં ઊભા રાખે છે. ભદ્ર પરિસરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો દ્વારા સૂચના આપવામાં આવ્યા બાદ એસઆરપી બંદોબસ્ત અને તમામ ઝોનની એક-એક ટીમ ભાગ મુજબ કામગીરી કરી રહી છે અને ગેરકાયદેસર પાથરણાંવાળાઓને હટાવી રહી છે.
પરિસરમાં લારીઓ ન ઊભી રાખવાનું કહેવા છતાં તેઓ વારંવાર ત્યાં આવીને ઊભા રહી જતા હતા. બાદમાં એસ્ટેટ વિભાગ દ્વારા SRP પોલીસની મદદથી લારી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાંક સ્થાનિક આગેવાનો અને લારીવાળા બધાં ભેગા થઈ ગયા હતા.એસ્ટેટ વિભાગ અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જો કે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી નહોતી. આ મુદ્દે ટૉક ઓફ ધ ટાઉન બન્યો હતો.