અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડગામનાં ખેડૂત દંપતીની 2 વર્ષની દીકરી જેન્સી સોલંકી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. તપાસમાં બાળકીની શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીનાં દાણા ફસાયેલા હોવાનું સામે આવતાં તાત્કાલિક ઓપરેશન કરાયું હતું. ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમે સફળ સર્જરી કરીને બાળકીને નવી જિંદગી આપી. ડોક્ટરોની સમયસૂચક કામગીરી અને આધુનિક સારવારથી હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે.
આ કેસ અંગે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્સ તેમ જ પીડિયાટ્રિક સર્જરી વિભાગનાં હેડ અને પ્રોફેસર ડૉ. રાકેશ જોશીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના ખેડૂત દંપતી મોતીભાઈ અને માયાબેન સોલંકીની 2 વર્ષની પુત્રી જેન્સી છેલ્લા 7 થી 10 દિવસથી સતત ઉધરસથી પીડાઈ રહી હતી. સ્થાનિક ખાનગી દવાખાનામાં દવા લેવાઇ છતાં તકલીફમાં રાહત ન મળતા તેણે પછી વડનગરની જી.એમ.આર. હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સ્કેન અને તપાસ પછી ખબર પડી કે જેન્સીની શ્વાસનળીમાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ છે.
હાલત ગંભીર બનતા 27 જુલાઈનાં રોજ બાળકીને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં, પીડિયાટ્રિક વિભાગનાં ડૉ. ધારા ગોસાઇ અને તેમની ટીમે તરત જ દર્દીને હાઇ ફ્લો એરવો સપોર્ટ આપ્યો અને સીટી સ્કેન કરાવ્યો હતો. સ્કેનમાં જોઈ શકાય તે મુજબ બાળકીની શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીનાં દાણા ફસાઈ ગયેલા હતા. ત્યારબાદ, ડૉ. રાકેશ જોશી અને ડૉ. શ્રેયસ દ્વારા બ્રોન્કોસ્કોપી કરી બંને બાજુંનાં bronchus માં થી singdana ના ટુકડા કાઢવામાં આવ્યાડૉ. શકુંતલા ગોસ્વામી અને ડૉ. ભરત મહેશ્વરીની ટીમ ક્રિટિકલ એનેસ્થેસિયા આપ્યો.
ઓપરેશન બાદ જેન્સીને એક દિવસ માટે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે અને શ્વાસ લેવામાં પણ કોઈ મુશ્કેલી નથી. બાળકીની સ્થિતિ સ્થિર હોવાનાં આધારે ડૉક્ટરો દ્વારા તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. હવે જેન્સી ફરીથી હસતી-રમતી માતા-પિતાની ગોદમાં ઘરે પરત ફરી છે. ડૉ. રાકેશ જોશીએ વધુમાં ઉમેર્યું કે, “જો થોડું પણ મોડું થાત તો બાળકીને બચાવવી ખૂબ જ મુશ્કેલ બની ગયું હોત. નાનાં બાળકોનાં માતા-પિતા એ હંમેશાં તેમની આસપાસ પડતી વસ્તુઓ અને ખોરાક બાબતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ.”