અમદાવાદ : અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઇને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે પીઆઇ અને તેનાથી ઉચ્ચ અધિકારીઓ માટે આદેશ કર્યા છે જેમાં અમદાવાદના નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં મુલાકાતીઓનો સમય વધારી દેવાયો છે. પોલીસ કમિશ્નર દ્વારા PI તેમજ અન્ય અધિકારીઓને સૂચના અપાઈ છે. બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે પણ મુલાકાતીઓને મળવા સૂચના અપાઈ છે. આ દરમિયાન પીઆઈએ પોતાનાં વિસ્તારમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોનું ચેકિંગ સહિતની કામગીરી કરવી પડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસ અધિકારીઓએ દરરોજ બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન હાજર રહી કચેરીમાં આવતા મુલાકાતીઓની રજૂઆતો સાંભળવાની રહેશે. મુલાકાતીઓ અરજી આપે તો તેને સ્વીકારી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પીએસઆઇ અને પીઆઇએ અરજદારોને મળી અરજદારની રજૂઆત સાંભળવાની રહેશે અને અરજી મેળવી અધિકારી સમક્ષ જરૂરી કાર્યવાહી માટે વંચાણે મુકવાની રહેશે. આ ઉપરાંત થાના અમલદારોએ દરરોજ 6 થી 9 પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ સહિતની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.
સામાન્ય રીતે પીઆઈએ સવારના સમયે કોર્ટમાં ગુનાના કામે મુદતે, તપાસનાં કામે સોગંદનામા અર્થે તેમજ અન્ય કામો અંગે હાજર રહેવાનું હોય છે. જેથી તેઓ સવારના 12 થી 2 વાગ્યાની વચ્ચે સ્ટેશનમાં આવતા મુલાકાતીઓને કયારેક ના પણ મળી શકે. તેથી પીઆઈએ દરરોજ સાંજે 4 થી 6ની વચ્ચે પોતાના સ્ટેશનમાં હાજર રહી મુલાકાતીઓની રજૂઆતો સાંભળવાની રહેશે. અને મુલાકાતી પોતાની રજૂઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.
આ ઉપરાંત પીઆઈએ દરરોજ સાંજે 6 થી 9 વાગ્યા દરમિયાન પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, ગુનેગારોનું ચેકિંગ, નાસતા-ફરતા આરોપીઓનું ચેકિંગ, હીસ્ટ્રીશીટરોનું ચેકિંગ જેવી કામગીરી પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પોતાના વિસ્તારમાં કરવાની રહેશે. તેમજ આ બાબતે નાયબ પોલીસ કમિશનરે પોતાના તાબાના પોલીસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કરવાનું રહેશે.
પીઆઈએ દરરોજ રાતે 9 થી 12 વાગ્યા સુધી વિસ્તારમાં હાજર રહી પોલીસ સ્ટેશન/તપાસને લગતા અન્ય કામો કરવાના રહેશે. તેઓ પોતાનો પોલીસ સ્ટેશનનો વિસ્તાર રાતના 12 વાગ્યા સુધી કોઇપણ સંજોગોમાં છોડશે નહીં. જો તેઓને કોઈ આકસ્મિક કારણોસર તે સમય દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તાર છોડવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો સંબંધિત નાયબ પોલીસ કમિશનરની પૂર્વમંજુરી મેળવ્યા બાદ જ વિસ્તાર છોડી શકશે.
આમ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદના નાગરિકોની સુવિધા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. પ્રજાને અમદાવાદ પોલીસ તરફથી સારો પ્રતિસાદ મળી રહે અને તેમની સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે તે હેતુથી આ પ્રકારના નિર્ણયો લેવાયા છે. બીજી તરફ, અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓને મળવાનો સમય ઓછો હતો, તેથી સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તે હેતુથી આ નિર્ણયો લેવાયા છે.