મુંબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ BCCI એ એક મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ IPLને સ્થિગત કરવામાં આવી છે. BCCI ટુંક સમયમાં આની જાહેરાત કરી શકે છે. બુધવારના રોજ પાકિસ્તાને ભારતના અનેક શહેરોમાં ડ્રોન અટેક કર્યો હતો. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા મિસાઈલ અને ડ્રોનથી અટેક કર્યો હતો પરંતુ આ હુમલાની અસર IPL પર જોવા મળી હતી. IPL ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટ્લસ વચ્ચે ધર્મશાળામાં રમાઈ રહી હતી. તેને પણ અધવચ્ચે બંધ કરવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝન અધવચ્ચે જ મુલતવી રાખવામાં આવી છે. 9 મેના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની બેઠક બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો. BCCI ટુંક સમયમાં આની જાહેરાત કરી શકે છે. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCI ની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. BCCI ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે.
IPLનો આ તબક્કો અહીં જ રોકાઈ ગયો છે. હવે વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ વચ્ચે ધર્મશાલામાં 8મી મેએ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ રદ કરી દેવાઈ હતી. જે બાદ ઘણા અહેવાલોમાં દાવો કરાઇ રહ્યો છે કે IPLની તમામ મેચ રદ કરી દેવાય તેવી શક્યતા છે. એવામાં 9મી મેએ સવારે IPLના ચેરમેન અરુણ ધૂમલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, ‘સરકાર તરફથી હજુ સુધી કોઈ નિર્દેશ મળ્યા નથી. તમામ સ્ટેકહોલ્ડર્સના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે. પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.’
2024ની IPL બે ભાગમાં રમાઈ હતી કારણ કે તે જ સમયે લોકસભાની ચૂંટણીઓ પણ યોજાઈ રહી હતી. પહેલો ભાગ 22 માર્ચથી 7 એપ્રિલ સુધી ચાલ્યો હતો, જેમાં 21 મેચ રમાઈ હતી. આ પછી, જ્યારે ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી, ત્યારે બાકીની મેચો અને પ્લેઓફ શેડ્યૂલ કરવામાં આવ્યા અને રમાયા. આ કારણે ટુર્નામેન્ટ સરળતાથી યોજાઈ શકી અને કોઈ સમસ્યા ન હતી.