અંબાજી : શક્તિપીઠ અંબાજીમાં આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય ધાર્મિક મેળાનું આયોજન ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ મેળો લાખો ભક્તો માટે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ બની રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અંબાજી ખાતે યોજાયેલી ભાદરવી પુનમીયા સંઘની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત આ મીટિંગમાં પહોંચ્યા હતા. આ સિવાય બનાસકાંઠા કલેકટર, એસ પી મંદિર વહીવટદાર સહીત સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું. જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી. ભાદરવી પૂનમના મેળામાં 1624 સંઘો રજીસ્ટર થયેલા છે જે મેળા દરમ્યાન અંબાજી આવશે. દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી રાતે 12 વાગે સુધી મેળા દરમ્યાન ખુલ્લું રખાશે.
ભાદરવી પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી બપોર 12:30થી ગર્ભગૃહ બંધ કરીને જાળીમાંથી દર્શન થશે. ભાદરવી પૂનમના દિવસે સાંજે 5 વાગ્યાં બાદ ચંદ્ર ગ્રહણના લીધે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. હમણાં સુધી 303 સેવા કેમ્પની નોંધણી થઇ ચુકી છે. સમગ્ર અંબાજીમાં CCTV કેમેરા લગાવીને 24 કલાક બાજ નજર રાખવામાં આવશે. રાત્રીના સમય ભક્તોને તકલીફ ના પડે તે માટે માકણચમ્પા, અંબાઘાટા, વિરમપુર રોડ, અને આબુરોડના રસ્તા પર સ્ટ્રીટ લાઈટ લગાડશે. વૃદ્ધ અને દિવ્યાંગ માટે અલાયદી દર્શન વ્યવસ્થા રાખવામાં આવશે, જેમાં ગોલ્ફ કાર્ટનો ઉપયોગ કરવામાં આવશે.
અંબાજી ખાતે સમીક્ષા બેઠકમાં યાત્રાળુઓની સલામતી, સુરક્ષા, એસ.ટી બસ, ઇલેક્ટ્રિસિટી, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાનું પાણી, હંગામી વિસામા, ભોજન, સફાઈ, આરોગ્ય, સેનિટેશન, ફાયર સેફટી વગેરે બાબતો પર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. ભાદરવી પૂનમ મહામેળો 2025 માટે વિશેષ સફાઈ, ભીડ નિયંત્રણ જેવી બાબતો પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
ભાદરવી પૂનમના મહામેળાને લઈને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમ જ તમામ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટેની વિવિધ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આવવા જવા માટે વાહનો અને તે વાહનોનું યોગ્ય પાર્કિંગ પણ કરવા સહિત તેમની સુરક્ષા માટે પોલીસ CCTV કેમેરા વગેરેની વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવાઈ છે.