ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી અધિકારીઓ સામે લાલ આંખ કરી છે અને મહેસૂલ વિભાગના અધિકારોઓને ચૂંટાયેલા સભ્યોથી લઈને સામાન્ય માણસોના ફોન ન ઉપાડવાની બાબતે આકરું વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરીને કડક ગાઈડલાઈન જાહેર કરી હતી.
ખાસ કરીને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયત પ્રમુખો અને સામાન્ય જનતાના ફોન જ ન ઉપાડતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સતત વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ બાબુઓ પર લાલ આંખ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગે એક પરિપત્ર બહાર પાડીને મહેસૂલ વિભાગના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ માટે કડક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.
રાજ્ય સરકારે જાહેર કરેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મહેસૂલ વિભાગના વર્ગ 1 અને 2 કક્ષાના અધિકારીઓને તેમણે ફાળવવામાં આવેલા સરકારી ફોન નંબર અથવા જો સરકારી ફોન નંબર ન હોય તો અંગત નંબર પર આવતા ફોન કોલ્સનો જવાબ આપવાનો રહેશે. વળી સરકારે એ પણ આદેશ કર્યો છે કે જો આ અધિકારીઓ ફરજ પર ગેરહાજર હોય કે મિટિંગમાં હોય તેવી સ્થિતિમાં બાદમાં સામેથી કોલ કરીને પદાધિકારી, ઉચ્ચ અધિકારી કે અન્ય અધિકારીઓને યોગ્ય પ્રત્યુતર આપવાનો રહેશે.
ઉલ્લેખનીય છે મહેસૂલ વિભાગના અધિકારીઓ સામાન્ય માણસની જેમ જ અધિકારીઓ, પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોના ફોનને કોઈને કોઈ કારણથી અવગણી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી. મીટિંગમાં હોવાથી વાત નહિ થઈ શકે તેવા બહાના હવે નહિ ચાલે.
હવે રાજ્ય સરકારે આ બાબતે હવે સામેથી કોલ બેક કરીને પ્રત્યુતર આપવા જણાવ્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી ફોન અવગણવાની અનેક ફરિયાદો મળી હતી, જેના કારણે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.